Home Religion Chaturmas Bhagwan Vishnu Patal Lok Story Gujarati

ભગવાન વિષ્ણુ દર વર્ષે 4 મહિના કેમ રહે છે પાતાળ લોકમાં? : કારણ જાણીને આશ્ચર્યમાં પડી જશો!

Chaturmas
Published by: Suman Dabhi
Last Updated: Jul 17, 2026, 08:19 AM IST

Chaturmas 2026: સનાતન ધર્મમાં ચાતુર્માસને અત્યંત પવિત્ર અને સાધનાનો સમય માનવામાં આવે છે. અષાઢ સુદ એકાદશી, જેને દેવશયની એકાદશી પણ કહેવામાં આવે છે, તે દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠની એકાદશી સુધી ચાલે છે. વર્ષ 2026માં ચાતુર્માસ 25 જુલાઈથી શરૂ થઈ 20 નવેમ્બર સુધી રહેશે. આ ચાર મહિના દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, મુહૂર્ત જેવા અનેક માંગલિક કાર્યો ટાળવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં કેમ જાય છે અને તેઓ પાતાળ લોકમાં કેમ નિવાસ કરે છે? તેની પાછળ એક અત્યંત રસપ્રદ અને ભાવસભર પૌરાણિક કથા જોડાયેલી છે.

ચાતુર્માસની શરૂઆત કેવી રીતે થઈ?

પુરાણો અનુસાર આ કથા મહાદાનવીર રાજા બલી અને ભગવાન વિષ્ણુના વામન અવતાર સાથે સંકળાયેલી છે.

રાજા બલીએ પોતાના પરાક્રમ અને તપના બળે ત્રણેય લોક પર વિજય મેળવ્યો હતો. દેવતાઓનું રાજ્ય પણ તેમના અધિકારમાં આવી ગયું હતું. આથી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા અને તેમને સૃષ્ટિનું સંતુલન જાળવવા વિનંતી કરી. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલીના યજ્ઞસ્થળે પહોંચ્યા.

ત્રણ પગલાં જમીનનું દાન અને વામન અવતારનો ચમત્કાર

રાજા બલી પોતાની દાનવીરતા માટે સમગ્ર બ્રહ્માંડમાં પ્રસિદ્ધ હતા. વામન સ્વરૂપે આવેલા ભગવાને રાજા બલી પાસે માત્ર ત્રણ પગલાં જેટલી જમીન દાનમાં માગી.

રાજા બલીએ વિલંબ કર્યા વગર દાનનું વચન આપી દીધું. વચન મળતા જ વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ પગલામાં સમગ્ર પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં સ્વર્ગલોક આવરી લીધો. હવે ત્રીજા પગલાં માટે કોઈ સ્થાન બાકી રહ્યું નહોતું.

ત્યારે રાજા બલીએ પોતાના વચનનું પાલન કરવા માટે નમ્રતાપૂર્વક પોતાનું મસ્તક ભગવાન સમક્ષ ઝુકાવી દીધું.

રાજા બલીના ભક્તિભાવથી પ્રસન્ન થયા ભગવાન

ભગવાન વિષ્ણુએ ત્રીજું પગલું રાજા બલીના માથા પર મૂકતાં જ તેમને પાતાળ લોકમાં મોકલી દીધા. પરંતુ રાજા બલીની અતૂટ ભક્તિ, સત્યનિષ્ઠા અને દાનવીરતા જોઈ ભગવાન અત્યંત પ્રસન્ન થયા.

તેમણે રાજા બલીને વરદાન માંગવા કહ્યું. રાજા બલીએ પ્રાર્થના કરી કે, "હે પ્રભુ! જ્યારે પણ હું આંખ ખોલું અથવા નિંદ્રામાંથી જાગું ત્યારે મને તમારા જ દર્શન થાય. તેથી તમે મારા સાથે પાતાળ લોકમાં જ નિવાસ કરો."

ભગવાને તેમના આ નિષ્કપટ ભાવથી પ્રસન્ન થઈ "તથાસ્તુ" કહી દીધું અને પાતાળ લોકમાં રાજા બલી સાથે રહેવા લાગ્યા.

માતા લક્ષ્મીએ કેવી રીતે ભગવાનને પાછા વૈકુંઠ લાવ્યા?

ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મી ચિંતિત બન્યા. ભગવાન વિના વૈકુંઠ સૂનું લાગતું હતું અને સૃષ્ટિના સંચાલનમાં પણ અસંતુલન સર્જાવા લાગ્યું.

ત્યારે દેવર્ષિ નારદે માતા લક્ષ્મીને એક ઉપાય સૂચવ્યો. માતા લક્ષ્મીએ એક ગરીબ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને પાતાળ લોકમાં રાજા બલી પાસે પહોંચી. તેમણે રાજા બલીના હાથમાં રક્ષાસૂત્ર બાંધી તેમને પોતાના ભાઈ બનાવ્યા.

રક્ષાબંધનના આ પવિત્ર સંબંધ પછી રાજા બલીએ બહેનને ઇચ્છિત ભેટ માગવા કહ્યું.

ત્યારે માતા લક્ષ્મીએ પોતાના અસલી સ્વરૂપમાં આવી ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત મોકલવાની વિનંતી કરી.

ભગવાન વિષ્ણુએ આપ્યું અનોખું વરદાન

રાજા બલી એક તરફ બહેનને આપેલા વચનથી બંધાયેલા હતા અને બીજી તરફ ભગવાનને પોતાની પાસે જ રાખવા ઇચ્છતા હતા.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા ભગવાન વિષ્ણુએ મધ્યમ માર્ગ અપનાવ્યો. ભગવાને રાજા બલીને વચન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીના ચાર મહિના પાતાળ લોકમાં નિવાસ કરશે અને બાકીના સમયમાં વૈકુંઠમાં રહેશે. આ જ પરંપરા આજે ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોવાનું માનવામાં આવે છે.

ચાતુર્માસમાં શુભ કાર્યો કેમ ટાળવામાં આવે છે?

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ આ ચાર મહિના યોગનિદ્રામાં હોવાથી લગ્ન, ગૃહપ્રવેશ, ઉપનયન સહિતના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

પરંતુ આ સમય આધ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભક્તો જપ, તપ, દાન, વ્રત, સાત્વિક જીવન અને ભગવાનના સ્મરણ દ્વારા આત્મકલ્યાણનો માર્ગ અપનાવે છે.

આ પણ વાંચો: રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે જગન્નાથજીનો નિજ મંદિરમાં ભવ્ય પ્રવેશ : આખી રાત રથમાં કેમ રહ્યા ભગવાન? જાણો વર્ષો જૂની પરંપરાનું રહસ્ય

આજના સમયમાં ચાતુર્માસનું મહત્વ

ચાતુર્માસ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મચિંતન, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિનો પણ સમય છે. આ ચાર મહિના દરમિયાન મન, વાણી અને કર્મમાં પવિત્રતા લાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. ભક્તો ભગવાન વિષ્ણુની આરાધના કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now