વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ મંગળવાર, ૩ માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે લાગવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે સૂર્યગ્રહણના માત્ર 15 દિવસમાં જ ચંદ્રગ્રહણનો સંયોગ રચાઈ રહ્યો છે. ભારતીય સમાજમાં ગ્રહણકાળને લઈને અનેક પ્રકારની પરંપરાઓ અને માન્યતાઓ પ્રચલિત છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ સમયને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી એવી માન્યતા ચાલી આવે છે કે ગ્રહણ દરમિયાન બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે, જેની અસર ગર્ભસ્થ શિશુ પર પડી શકે છે. જોકે, આધુનિક વિજ્ઞાન આ દાવાઓને નકારે છે. તો ચાલો જાણીએ કે શું ખરેખર ચંદ્રગ્રહણ ગર્ભાવસ્થાને અસર કરે છે અને ડૉક્ટરો આ બાબતે શું સલાહ આપે છે.
ચંદ્રગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે, જેમાં પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને કારણે લોકોમાં આજે પણ ભય અને જિજ્ઞાસા જોવા મળે છે. નિષ્ણાતોના મતે, આ પરંપરાઓ સાંસ્કૃતિક છે અને તેને સ્વાસ્થ્ય સાથે કોઈ સીધો સંબંધ નથી.
1. શું ગ્રહણના કિરણો બાળકને નુકસાન પહોંચાડે છે?
પુણેના જાણીતા હોમિયોપેથ ડૉ. શીતલ બાંકરના જણાવ્યા અનુસાર, ચંદ્રગ્રહણથી પ્રેગ્નન્સીમાં કોઈ નુકસાન થતું નથી તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. વિજ્ઞાન પાસે એવા કોઈ પુરાવા નથી કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ હાનિકારક રેડિયેશન (વિકિરણ) બહાર નીકળે છે. સંશોધનોમાં પણ ગ્રહણ અને ગર્ભપાત કે બાળકના વિકાસમાં કોઈ ખામી વચ્ચે કોઈ કનેક્શન જોવા મળ્યું નથી.
2. શું ગ્રહણ દરમિયાન ભૂખ્યા રહેવું જોઈએ?
ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણના સૂતક કાળથી જ ઉપવાસ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ડૉક્ટરો માને છે કે ગર્ભાવસ્થામાં નિયમિત અને સંતુલિત આહાર અત્યંત જરૂરી છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ શુગર ઓછું થઈ શકે છે, જેનાથી નબળાઈ અને ડિહાઇડ્રેશનની સમસ્યા સર્જાય છે. તેથી સગર્ભા મહિલાઓએ સમયસર ભોજન અને પૂરતું પાણી લેવું જોઈએ.
3. શું ગ્રહણ જોવું કે બહાર નીકળવું ખતરનાક છે?
સૂર્યગ્રહણથી વિપરીત, ચંદ્રગ્રહણને નરી આંખે જોવું સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેનાથી આંખો કે શરીરને કોઈ નુકસાન થતું નથી. જો વાતાવરણ અનુકૂળ હોય અને મહિલાને અગવડતા ન હોય, તો બહાર જઈને ચંદ્ર જોવામાં કોઈ જોખમ નથી. વાસ્તવિક જોખમ માત્ર ઠંડી કે થાક હોઈ શકે છે, ગ્રહણ પોતે નહીં.
4. ધારદાર વસ્તુઓનો ઉપયોગ અને જન્મજાત ખામી?
એક સામાન્ય માન્યતા છે કે ગ્રહણ દરમિયાન સોય, ચપ્પુ કે કાતરનો ઉપયોગ કરવાથી બાળકમાં જન્મજાત ખામી (Birth Defects) સર્જાય છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, બાળકમાં ખામી જિનેટિક કારણો અથવા પર્યાવરણીય પરિબળોને લીધે હોય છે, ખગોળીય ઘટનાઓને કારણે નહીં.
5. સગર્ભા મહિલાઓએ શું કરવું જોઈએ?
એક્સપર્ટ્સનું માનવું છે કે ગર્ભાવસ્થામાં સૌથી મહત્વનું સંતુલિત આહાર, પૂરતો આરામ અને તણાવમુક્ત રહેવું છે. જો કોઈ મહિલા સાંસ્કૃતિક પરંપરાઓને માનતી હોય અને તે મુજબ આરામ કરવા કે પ્રાર્થના કરવા માંગતી હોય, તો તે તેની અંગત પસંદગી છે. ગ્રહણ બાદ તાજું ભોજન બનાવીને લેવું એ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ તે ગ્રહણના ડરથી નહીં પણ હાઈજીનના ભાગરૂપે હોવું જોઈએ.




















