આચાર્ય ચાણક્ય માત્ર એક મહાન રાજનીતિજ્ઞ જ નહીં પરંતુ એક કુશળ વ્યૂહરચનાકાર પણ હતા. તેમની નીતિઓનું પાલન કરીને વ્યક્તિ મુશ્કેલ પડકારોનો સરળતાથી સામનો કરી શકે છે. ચાણક્ય નીતિમાં આચાર્યએ કેટલાક પાસાઓમાં પુરુષો અને મહિલાઓની તુલના કરી છે. તેમણે પોતાના એક શ્લોક દ્વારા સ્ત્રીઓની એવી વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો છે જેના પર સામાન્ય રીતે લોકોનું ધ્યાન જતું નથી.
ચાણક્ય નીતિના પ્રથમ અધ્યાયના 17માં શ્લોકમાં જણાવાયું છે કે, પુરુષોની સરખામણીએ મહિલાઓનો આહાર બમણો હોય છે, તેમની બુદ્ધિ ચાર ગણી હોય છે, તેમનામાં પુરુષો કરતા છ ગણું વધુ સાહસ અને કામવાસના આઠ ગણી હોય છે.
પુરુષો કરતા બમણો આહાર
આચાર્ય ચાણક્ય અનુસાર, મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધુ ભોજનની જરૂર પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે મહિલાઓએ વધુ શારીરિક પરિશ્રમ કરવો પડે છે. પ્રાચીન સમય હોય કે આજે, સ્ત્રીઓએ ઘરના અનેક નાના-મોટા કાર્યો કરવા પડે છે જેમાં ઉર્જા વધુ ખર્ચાય છે. આ ઉપરાંત સ્ત્રીની શારીરિક સંરચના અને પ્રજનન જેવા કાર્યોમાં ખર્ચ થયેલી ઉર્જા પુનઃ પ્રાપ્ત કરવા માટે તેમને વધારાના પૌષ્ટિક આહારની આવશ્યકતા રહે છે.
ચતુર બુદ્ધિ અને અતુલ્ય સાહસ
ચાણક્યનું માનવું છે કે પુરુષો કરતા મહિલાઓમાં ચાર ગણી વધુ તીવ્ર બુદ્ધિ હોય છે. પારિવારિક સમસ્યાઓને ઉકેલતી વખતે તેમની નિર્ણયશક્તિનો વિકાસ થાય છે, જેનાથી તેમની સમજવાની દ્રષ્ટિ વધુ તેજ બને છે. તે જ રીતે, સાહસની બાબતમાં પણ મહિલાઓ પુરુષો કરતા છ ગણી આગળ હોય છે. કુદરતી રીતે પણ જોવામાં આવ્યું છે કે પોતાની સંતાનની રક્ષા માટે માદા પશુ કે પક્ષી પણ પોતાના કરતા વધુ શક્તિશાળી સામે લડી લેવા સજ્જ હોય છે.
કામવાસના અને ધાર્મિક દ્રષ્ટિકોણ
આચાર્ય જણાવે છે કે મહિલાઓમાં કામવાસના આઠ ગણી હોવી એ કોઈ પાપ કે ચરિત્રહીનતાની નિશાની નથી. સામાજિક અને ધાર્મિક રીતે સંતાન ઉત્પત્તિ એ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો એક માર્ગ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાને 'ધર્માનુકૂળ કામ' તરીકે ઓળખાવ્યા છે. આ કુદરતી ભાવનાને અનૈતિક માનવાને બદલે સૃષ્ટિના ક્રમના એક ભાગ તરીકે જોવી જોઈએ.



















