Chaitar Vasava: લાફાકાંડ બાદ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તો હાલ પોલીસ શંકજામાં છે. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં દેડિયાપાડામાં આજે જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું. ચૈતર વસાવા તો જેલમાં છે પણ તેમના બે ધર્મપત્ની વર્ષાબેન અને શંકુતલાબેન આ સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જય આદિવાસી, જય જોહારના નારા સાથે દેડિયાપાડામાં જનસમર્થન સભાને સંબોધતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેને જણાવ્યુંકે, મારા પતિ જેલમાં છે પણ પોલીસ કે સરકાર અમને મળવા દેતી નથી. માત્ર એમની સાથે મારે વીડિયો કોલથી વાત થઈ છે. એમણે તમારા બધા આદિવાસી સમાજ માટે જે ખાસ મેસેજ આપ્યો છે એ હું તમને સંભળાવું છું.
પત્ની વર્ષા વસાવા પાસે ચૈતર વસાવાએ જનસભાને મોકલ્યો ખાસ મેસેજઃ
"હું એક સરકારી નોકરી કરતો હતો, પરંતુ મારા લોકો સાથે અન્યાય થતા હતા. મારા લોકોને જાગૃત કરવા હું સરકારી નોકરી છોડીને હું જાહેર જીવનમાં આવ્યો છું. જિલ્લા પંચાયતમાં બે ટર્મ સારા કામ કર્યા બાદ હું ધારાસભ્ય બન્યો છું. ધારાસભ્ય બન્યા બાદ એક પણ દિવસ મેં ઘરે આરામ કર્યો નથી."
પત્ની મારફતે ચૈતર વસાવાએ લોકોને મેસેજ મોકલ્યો કે, મારી પર ખોટા કેસ કરીને મને ફસાવાયો છે. જ્યાં મિટિંગ થઈ ત્યાં કોઈ બનાવ બન્યો નથી. ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસે ગાયબ કર્યા છે.એફઆઈઆર લખાવા હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું તો મને બેથી ત્રણ કલાક બેસી રખાય છે. પોલીસ સતત ફોન કરીને પ્લાન ગોઠવે છે. મીડિયા સાથે પણ મને વાત નથી કરવા દેતા. ભાજપના ઈશારે પોલીસ તંત્ર રાજકીય ષડયંત્ર ઉભું કરી મને ફસાવાય છે.
પત્ની મારફતે ચૈતર વસાવાએ લોકોને મેસેજ મોકલ્યો કે, મને મારા પરિવાર સાથે મુલાકાત કરવા દેવાતી નથી. ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે. એક ધારાસભ્યનું અપમાન કર્યું છે. મારી જનતાને જવાબ આપો કોના ઓર્ડરથી આવું કર્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા જૂના કેસો રજુ કરીને હેરાન કરાય છે. સડકથી સદન સુધી મેં સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. મારી જનતાની હું ચિંતા કરું છું એટલે ભાજપ સરકારને ગમતું નથી.
પત્ની મારફતે ચૈતર વસાવાએ લોકોને મેસેજ મોકલ્યો કે, બચુ ખાબડના બન્ને દિકરાઓએ 2500 કરોડનું કૌભાંડ કર્યું હતું. એ બન્ને જેલની બહાર છે. અને હું કૌભાંડ બહાર પાડનાર જેલની અંદર છું. જો મને અને મારા પરિવારને કંઈ પણ થાય એની જવાબદારી પોલીસની રહેશે. મેં લોકો માટે અવાજ ઉઠાવ્યાં છે. કેવડિયા, રાજપીપળા, ડેડિયાપાડા બધે મેં મારા લોકોને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. ખાણ-ખનીજના માફિયા, ખેડૂતોના સિંચાઈ માટે મેં અવાજ ઉઠાવ્યો છે.દેડિયાપા઼ડા-સાગબારામાં 8 કરોડની રોડનું કામ કરાવ્યું. મારું કામ બોલે છે. મારા પરિવારની સાથે ઉભા રહેજો સુખ-દુઃખમાં. મીડિયાએ પણ જેણે સાચી હકીકત પહોંચાડી છે તેમનો પણ આભાર. જય આદિવાસી.




















