Suryakumar Yadav : રવિવાર, 8 માર્ચ 2026 નો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને ફાઇનલમાં 96 રનથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યું છે. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ આટલેથી અટકવા માંગતો નથી. જીત બાદ તેમણે જે જાહેરાત કરી છે તેણે કરોડો ભારતીય ચાહકોમાં નવો જોશ ભરી દીધો છે.
ભારત ફરી બન્યું વિશ્વ વિજેતા
ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ન્યુઝીલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું. એમ.એસ. ધોની અને રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવ હવે એવા ત્રીજા ભારતીય કેપ્ટન બની ગયા છે જેમના હાથમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી છે. આ જીત સાથે જ ભારતે ક્રિકેટ જગતમાં પોતાનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત કર્યું છે.
ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "આ જીત ખૂબ જ ખાસ છે. પરંતુ સૌથી મોટું લક્ષ્ય ઓલિમ્પિક, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને તે વર્ષે T20 વર્લ્ડ કપ જીતવાનું છે." સૂર્યાના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે, ટીમ ઈન્ડિયા હવે માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ સુધી સીમિત રહેવા માંગતી નથી.
128 વર્ષ પછી ક્રિકેટની વાપસી
તમને જણાવી દઈએ કે ક્રિકેટ છેલ્લે 1900 ના ઓલિમ્પિકમાં રમાયું હતું. હવે લાંબા 128 વર્ષના ઈન્તઝાર બાદ 2028 માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી થવાની છે. ભારતીય ટીમ જે રીતે અત્યારે આક્રમક ક્રિકેટ રમી રહી છે, તે જોતા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની આશા ઘણી વધી ગઈ છે.
3 વર્ષમાં જીતી 3 મોટી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા ત્રણ વર્ષ શાનદાર રહ્યા છે. 2013 પછીના લાંબા દુકાળનો અંત 2024 માં આવ્યો હતો:
2024 : રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો.
2025 : ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.
2026 : સૂર્યકુમારની આગેવાનીમાં ફરી T20 વર્લ્ડ કપ જીત્યો.
હવે ભારતની નજર 2027 માં યોજાનારા ODI વર્લ્ડ કપ પર છે, જે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.

















