રાજ્ય કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના અવસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ DyCM હર્ષ સંઘવીએ દાઓસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લીધા બાદ ત્યાં થયેલી બેઠકો અંગે કેબિનેટને માહિતગાર કર્યા હતા. દાઓસમાં યોજાયેલી વિવિધ બેઠકો દરમિયાન ભારત પ્રત્યે જે સકારાત્મક લાગણી વ્યક્ત થઈ તે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા.
અડાલજથી મહેસાણા સુધીના 51 કિલોમીટર લાંબા માર્ગને 8 માર્ગી બનાવવાની મંજુરી
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં રાજ્યના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ–મહેસાણા રોડ પર સતત વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અડાલજથી મહેસાણા સુધીના 51 કિલોમીટર લાંબા માર્ગને 8 માર્ગી બનાવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. હાલ આ રોડ ચાર માર્ગી છે. આ નવા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ પર કુલ 8 ફ્લાયઓવર બનાવવામાં આવશે તેમજ 8 સ્થળોએ અંડરપાસ તૈયાર કરાશે. જેથી ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 51 કિ.મી.ના માર્ગમાં 1 એલિવેટેડ કોરીડોર, 8 ફ્લાયઓવર તેમજ 8 અંડરપાસ તૈયાર કરાશે.
આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સુવિધા ઊભી કરવા સૂચના
આ ઉપરાંત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સુવિધા ઊભી કરવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા ભારત નેટને આ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક સુવિધા ઝડપથી વિકસાવવા સૂચના આપી છે, જેથી દુરસ્ત વિસ્તારોના લોકોને પણ ડિજિટલ સેવાઓનો લાભ મળી શકે. કેબિનેટ બેઠકમાં સહકારી મંડળીઓ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા બાકી છે અથવા હાલ ચાલી રહી છે, તે તમામને જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી ચૂંટણી યોજવાથી મુક્તિ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
2600 કરોડના ખર્ચે નવા રોડ રસ્તાઓ તૈયાર કરવાની પણ મંજૂરી
આ સાથે જ પરા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા માટે પીએમ સડક યોજના અંતર્ગત રૂ. 2600 કરોડના ખર્ચે નવા રોડ રસ્તાઓ તૈયાર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોના વિકાસને વેગ મળશે અને આવાગમનની સુવિધામાં વધારો થશે.





















