Team India Playing 11: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ મહત્વપૂર્ણ ટેસ્ટ માટે તેના પ્લેઈંગ 11 માં ચાર મોટા ફેરફાર કર્યા છે. કરુણ નાયરને વધુ એક તક આપવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય લીધો છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપને પ્લેઈંગ 11 માં સ્થાન આપવામાં આવ્યું છે. ઋષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપરની જવાબદારી સંભાળી છે.
ટીમ ઈન્ડિયા ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું
ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ માટે તેના પ્લેઈંગ 11 માં ચાર મોટા ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ જસપ્રીત બુમરાહ વિના મેદાનમાં ઉતરી છે. આકાશદીપને જસ્સીની જગ્યાએ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે, પ્રસિદ્ધ કૃષ્ણા ફરીથી ટીમમાં પરત ફર્યા છે. અંશુલ કંબોજની જગ્યાએ પ્રસિદ્ધને ટીમમાં લાવવામાં આવ્યો છે.
ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ શ્રેણીમાંથી બહાર રહેલા ઋષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે, શાર્દુલ ઠાકુરને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ચોથી ટેસ્ટમાં ટીમમાંથી બહાર થયા બાદ કરુણ નાયર ફરી એકવાર ટીમમાં પાછો ફર્યો છે.
ઇંગ્લેન્ડ સ્ટોક્સ વિના રમશે
ઇંગ્લેન્ડ ઓવલ મેદાન પર તેમના નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ વિના રમશે. સ્ટોક્સ જમણા ખભામાં ઈજાથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે છેલ્લી ટેસ્ટમાં પ્લેઇંગ 11નો ભાગ રહેશે નહીં. સ્ટોક્સની જગ્યાએ જેકબ બેથેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોથી ટેસ્ટમાં બોલરોના શરમજનક પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે પોતાના બોલિંગ આક્રમણમાં સંપૂર્ણપણે ફેરફાર કર્યો છે. જોફ્રા આર્ચરને પણ પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું નથી.
IND vs ENG પ્લેઇંગ 11
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ પ્લેઈંગ 11: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટોન, જોશ ટંગ.





















