ભારતીય સિને જગતમાં પિરીયડ વૉર ડ્રામા ફિલ્મો પહેલેથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરતી રહી છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધી અનેક ફિલ્મોએ ના માત્ર ઐતિહાસિક પાત્રોને સ્ક્રીન પર જીવંત કર્યા, પરંતુ બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી છે.
વિક્કી કૌશલની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવાએ બોક્સઓફિસમાં ધમાલ મચાવી છે. બાહુબલિ, RRR,પદમાવત, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોએ પણ આ અગાઉ બોક્સઓફિસ પર સફળતાનો સ્વાદ ચાખ્યો હતો... ત્યારે જાણીએ એવી પિરીયડ ડ્રામા ફિલ્મો વિશે જેને લોકોએ ના માત્ર વધાવી પરંતુ આ ફિલ્મોએ ધીકતો નફો પણ કર્યો.
પદ્માવત
વર્ષ 2018માં સંજય લીલા ભણસાલીએ ડિરેકટ કરેલી પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ હતી, આ ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મ મહારાજા રતનસિંહ અને રાણી પદ્માવતીની કહાની પર આધારિત હતી. ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખીલીજીના રૂપમાં ખૂંખાર વિલનનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મે બોક્સઓફિસ પર 302.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પોન્નીયન સેલવન 1
વર્ષ 2022માં મણિરત્નમે ડિરેકટ કરેલી પોન્નીયન સેલવન 1 રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્રમ અને એશ્વર્યા રાય જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મ દક્ષિણ ભારતના ઐતિહાસિક સામ્રાજ્ય ચૌલ વંશ પર આધારિત હતી. આ ફિલ્મે રૂ.266.54 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું.
પોન્નીયન સેલવન 2
આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2023માં રિલીઝ થયો. આ ફિલ્મમાં પણ વિક્રમ અને એશ્વર્યા મુખ્ય પાત્રમાં હતા. પહેલા ભાગની તુલનામાં ફિલ્મે 181.96 કરોડ રૂપિયાનું કલેકશન કર્યુ હતું
તાનાજી- ધ અનસંગ વોરિયર
અજય દેવગન અભિનીત તાન્હાજી ધ અનસંગ વોરિયર વર્ષ 2020માં રિલીઝ થઈ હતી, ઓમ રાઉતે આ ફિલ્મનું દિગદર્શન કર્યુ હતું. ફિલ્મમાં તાન્હાજી માલુસરેના સંઘર્ષ અને પરાક્રમને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર 279.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બાજીરાવ મસ્તાની
સંજય લીલા ભણસાલીએ ડિરેકટ કરેલી ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા મુખ્ય પાત્રમાં હતા. વર્ષ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ છત્રપતિ બાજીરાવ અને મસ્તાનીની ઐતિહાસિક પ્રેમકહાની પર આધારિત હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મે 184.30 કરોડનો બિઝનેસ કર્યો હતો.



















