દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને ભાજપ તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત પ્રવાસે આવેલા નીતિન નવીનએ જણાવ્યું કે 'આજનો દિવસ દેશ માટે દુઃખી કરનાર દિવસ હતો'. તેમણે આક્ષેપ કર્યો કે જે પાર્ટીના કોઈ સ્પષ્ટ સિદ્ધાંત કે નીતિ નથી અને જેનું નેતૃત્વ અરાજકતા તરફ ઝુકેલું હોય, તેવા સમયે આવી પાર્ટી ગર્વના ક્ષણોમાં પણ અરાજકતા ફેલાવે છે.
'કોંગ્રેસ જ અર્બન નક્સલીઓનો ગઢ બની ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ'
નીતિન નવીને વધુમાં કહ્યું કે, અત્યાર સુધી કોંગ્રેસમાં અર્બન નક્સલીઓ હોવાના આરોપો લાગતા હતા, પરંતુ હવે આખી કોંગ્રેસ જ અર્બન નક્સલીઓનો ગઢ બની ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમણે ખાસ કરીને દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન થયેલી ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મહેમાનો અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજર હોય ત્યારે આ પ્રકારનું વર્તન દેશની છબીને નુકસાન પહોંચાડે છે.
'ગર્વના ક્ષણોમાં વારંવાર એવા કૃત્યો થયા છે'
તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર આક્ષેપ કર્યો કે, ગર્વના ક્ષણોમાં વારંવાર એવા કૃત્યો થયા છે, જેના કારણે દેશ દુઃખી થયો છે. 'ઘણા દેશોના અધ્યક્ષ હાજર હોય ત્યારે આવું કૃત્ય કરવું દુર્ભાગ્યપૂર્ણ છે,” એમ તેમણે ઉમેર્યું. નીતિન નવીને કોંગ્રેસની આ હરકતની નિંદા કરતા જણાવ્યું કે આવી માનસિકતા દેશને શર્મસાર કરે છે અને રાજકારણમાં જવાબદારી તથા સંયમ જરૂરી છે.




















