ઉત્તર પ્રદેશના રાજકીય ગલિયારામાં અત્યારે ગરમાવો વધી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સૌને અચંબામાં મૂકી દે તેવો નિર્ણય લેવાની તૈયારીમાં છે. રાજ્યમાં સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે પક્ષમાં ગહન મંથન ચાલી રહ્યું છે. હાલના તબક્કે રાજ્યમાં પછાત અને દલિત વર્ગના રાજકારણનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે પરંતુ ભાજપ આ પ્રવાહથી અલગ જઈને નવી રણનીતિ અપનાવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. પક્ષના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે સંગઠનનું સુકાન કોઈ બ્રાહ્મણ ચહેરાને અથવા તો મહિલા નેતાને સોંપવામાં આવે તેવું બની શકે છે. આ નિર્ણય દ્વારા પક્ષ આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ સોગઠાં ગોઠવી રહ્યો છે.
વર્ષ 2027 ના પ્રારંભમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના પીડીએ એટલે કે પછાત દલિત અને લઘુમતી સમીકરણને ટક્કર આપવા માટે ભાજપે જિલ્લા સ્તરે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. અત્યાર સુધીમાં 98 સંગઠનાત્મક જિલ્લાઓમાંથી 84 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં સામાજિક સમરસતા જાળવવા માટે 45 સવર્ણ અને 32 અન્ય પછાત વર્ગના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે 7 અનુસૂચિત જાતિના આગેવાનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રદેશ પ્રમુખની રેસમાં અનેક મોટા નામોની ચર્ચા ચાલી રહી છે. પછાત વર્ગમાંથી રાજ્ય સરકારના મંત્રી ધર્મપાલ સિંહ અને કેન્દ્રીય મંત્રી બીએલ વર્માના નામ મોખરે છે તો દલિત નેતાઓમાંથી રામશંકર કઠેરીયા અને વિદ્યાસાગર સોનકરનું નામ પણ લેવાઈ રહ્યું છે. જોકે રણનીતિકારોનું માનવું છે કે રાજ્યમાં આશરે 12 ટકા જેટલી બ્રાહ્મણ વસ્તી છે અને કુલ સવર્ણ મતોમાં તેમનો ફાળો સૌથી વધુ છે. આ વર્ગને સાચવી લેવા માટે વર્ષ 2017 ની જેમ ફરીથી કોઈ બ્રાહ્મણ નેતાને જવાબદારી સોંપાય તેવી વકી છે. વિપક્ષ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ક્ષત્રિય નેતા તરીકે ચીતરવામાં આવે છે ત્યારે સવર્ણ મતોનું સંતુલન જાળવવા બ્રાહ્મણ કાર્ડ ખેલવામાં આવી શકે છે.
આ તમામ સમીકરણો વચ્ચે એક ત્રીજો મહત્વનો વિકલ્પ પણ ઉભરી રહ્યો છે અને તે છે મહિલા નેતૃત્વનો. બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોએ જે રીતે ભાજપને સાથ આપ્યો હતો તે જોતા ઉત્તર પ્રદેશમાં પણ આ પ્રયોગ થઈ શકે છે. જો પક્ષ મહિલા નેતાને કમાન સોંપવાનું નક્કી કરે તો સાધ્વી નિરંજન જ્યોતિ પ્રબળ દાવેદાર ગણાય છે. તેઓ એક સાથે અનેક સમીકરણો સાધે છે જેમાં મહિલા હોવાની સાથે તેઓ પછાત વર્ગમાંથી આવે છે અને હિન્દુત્વનો મજબૂત ચહેરો પણ છે. આમ ભાજપ અખિલેશ યાદવના જાતિવાદી રાજકારણનો જવાબ વડાપ્રધાનના પ્રભાવ અને લાભાર્થી વર્ગના આધારે આપવા માંગે છે.





















