Home National Bihar Sitamarhi Dowry Murder Newly Married Woman Husband Arrest Gujarati

લગ્નના દોઢ મહિનામાં જ નવવધૂનું શંકાસ્પદ મોત! : દહેજમાં જમીનની માંગ મામલે સાસરિયાં જેલભેગા, સામે આવ્યા ચોંકાવનારા આરોપ

Bihar Dowry Murder
Published by: Suman Dabhi
Last Updated: Jul 29, 2026, 07:39 AM IST

Bihar Dowry Murder Case: બિહારના સીતામઢી જિલ્લામાં દહેજને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નના માત્ર દોઢ મહિનામાં જ એક નવવિવાહિતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દહેજમાં એક કઠ્ઠા જમીનની માંગ પૂર્ણ ન થતાં સાસરિયાઓએ તેને ઝેર આપીને મારી નાખી હતી. પોલીસે ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લગ્નના થોડા જ દિવસોમાં શરૂ થયો દહેજ માટે ત્રાસ

મળતી માહિતી મુજબ, બથનાહા પોલીસ સ્ટેશન વિસ્તારના દોસ્તપુર ગામના રહેવાસી કમોદ પ્રસાદની પુત્રી મનીષા કુમારીના લગ્ન 6 મે, 2026ના રોજ બાજપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના પટદૌરા ગામના રહેવાસી મિથિલેશ કુમાર સાથે થયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે લગ્ન બાદ શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ થોડા દિવસોમાં જ સાસરિયા તરફથી દહેજની વધારાની માંગ શરૂ થઈ હતી. આરોપ મુજબ, મનીષાના સાસરિયાઓ મુઝફ્ફરપુરમાં એક કઠ્ઠા જમીન તેમના નામે કરાવવાની માંગ કરી રહ્યા હતા. માંગણી પૂર્ણ ન થતાં મનીષાને સતત માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી.

ઝેર આપી હત્યા કરવાનો આરોપ

મૃતકાના પરિવારનો આરોપ છે કે ગયા શનિવારે મનીષાને ભીસા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને લઈ જવાઈ હતી, જ્યાં પૂર્વયોજિત ષડયંત્ર હેઠળ તેને ઝેર આપવામાં આવ્યું. પરિવારનું કહેવું છે કે મૃતકાના ગળા પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા, જેના કારણે તેમને હત્યાની શંકા વધુ મજબૂત બની છે. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ઘટનાને અકસ્માત અથવા સ્વાભાવિક મોત તરીકે દર્શાવવા માટે સાસરિયાઓએ ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

સમયસર પહોંચેલા પરિવારજનોએ ખુલ્યો મામલો

મનીષાના પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. પરિવારજનોએ મૃતદેહ પોતાના કબજામાં લઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જેથી મોતનું સાચું કારણ જાણી શકાય. આ ઘટનાના કારણે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.

પતિ, સાસુ અને સસરાની ધરપકડ

ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતકાના પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકાના પિતાએ દહેજની માંગ, જમીન માટેનો દબાણ અને હત્યાના ગંભીર આરોપો લગાવ્યા છે. હાલ સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક પુરાવા મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: બંધ રૂમ, બે મૃતદેહ અને દોઢ કલાકનો ગૂંચવાયેલો સમય... : પ્રેમલગ્ન કરનાર નવદંપતીના મોત પાછળ શું છે રહસ્ય? આ દિલ દહલાવી દેતી ઘટના વાંચીને તમે પણ ચોંકી જશો

દહેજ પ્રથા સામે ફરી ઉઠ્યા સવાલો

આ ઘટના ફરી એકવાર દહેજ પ્રથાની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. લગ્ન બાદ દહેજ માટે મહિલાઓને હેરાન કરવાના અને તેમની સામે અત્યાચારના કેસ હજુ પણ વિવિધ રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ હકીકત સામે આવશે અને જો આરોપો સાબિત થશે તો સંબંધિત લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now