IPL Name Controversy : IPL 2026 ની સિઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ક્રિકેટ જગતમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના નામને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મોટી જીત થઈ છે. કેરળ હાઈકોર્ટે આ મામલે પોતાનો મહત્વનો ચુકાદો આપતા BCCI ને મોટી રાહત આપી છે.
હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
IPL 2026 શરૂ થાય તે પહેલાં કેરળ હાઈકોર્ટે ઈન્ડિયન પ્રીમિયર લીગના નામ સામે વાંધો ઉઠાવતી જાહેર હિતની અરજી (PIL) ને ફગાવી દીધી છે. અરજદારે દલીલ કરી હતી કે, BCCI આ નામનો અનધિકૃત રીતે ઉપયોગ કરી રહ્યું છે. જોકે, કોર્ટે આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે, જેના કારણે હવે IPL ના નામ પર કોઈ ખતરો નથી.
અરજદારની વિચિત્ર દલીલ
આ અરજી કેરળના એર્નાકુલમના રહેવાસી આશિક કરોથ દ્વારા કરવામાં આવી હતી. તેમની દલીલ હતી કે, 'ઈન્ડિયન પ્રીમિયર લીગ' માં 'ઈન્ડિયન' શબ્દનો ઉપયોગ અયોગ્ય છે કારણ કે, આ કોઈ સત્તાવાર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ નથી. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે આ દલીલ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ વાતમાં કોઈ દમ નથી અને કહ્યું હતું કે, અરજદારને લાંબા સમય બાદ હવે યાદ આવી રહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતની સત્તાવાર ટુર્નામેન્ટ નથી.
BCCI માટે રાહતના સમાચાર
વર્ષ 2008 માં શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ લીગ છે. જો કોર્ટનો નિર્ણય વિરુદ્ધમાં આવ્યો હોત, તો લીગની બ્રાન્ડ વેલ્યુ પર મોટી અસર પડતી. આ ચુકાદાથી ટુર્નામેન્ટના આયોજન પર છવાયેલા કાનૂની વિવાદોના વાદળો હવે દૂર થઈ ગયા છે અને BCCI એ આ મામલે રાહતનો શ્વાસ લીધો છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમને મળી મંજૂરી
બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફેન્સ માટે પણ સારા સમાચાર છે. ગયા વર્ષની ભાગદોડ બાદ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ યોજવા અંગે શંકા હતી. પરંતુ કર્ણાટક સરકારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ હવે ત્યાં મેચ યોજવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જે સ્થાનિક ફેન્સ માટે સારા સમાચાર છે.
28 માર્ચથી ક્રિકેટનો જંગ
IPL 2026 નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. પ્રથમ મેચમાં જ વિરાટ કોહલીની RCB અને ઈશાન કિશનની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામસામે ટકરાશે. હાલમાં વિધાનસભા ચૂંટણીના કારણે BCCI એ માત્ર શરૂઆતનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જ્યારે બાકીની મેચોનું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




















