ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ મામલે મૃતક મહિલાની સાથે ફરજ બજાવતા એક સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંદીપ ગોહિલે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા
મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પ્રીતિ પરમાર નામની મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું છે કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે લગ્ન કરવાની વાતચીત થતી હતી અને સંદીપ ગોહિલે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા.
માનસિક તણાવમાં આવી અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું!
જોકે, બંને અલગ-અલગ સમાજમાંથી આવતા હોવાના કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે ભાંગી પડી હતી. લગ્નના સપના તૂટી જવા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળવાને કારણે તેણી ભારે માનસિક તણાવમાં હતી, જેના પરિણામે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય પાસાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.





















