મનુષ્યના જીવનમાં આવતા તમામ દુઃખો અને અશાંતિ પાછળનું સૌથી મોટું કારણ તેની અનંત ઈચ્છાઓ છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે સંસારની ભૌતિક ચીજવસ્તુઓની લાલસા રાખવી એ એક એવી આગ સમાન છે જે ક્યારેય ઓલવાતી નથી. આ અગ્નિમાં જેટલી આહુતિ આપો તેટલી તે વધુ પ્રજ્વલિત થાય છે. જ્યાં સુધી માણસ આ માયાજાળમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી તેને સાચા સુખનો અનુભવ થતો નથી અને તેનું મન સતત ભટકતું રહે છે. આથી જ વ્યક્તિ ક્યારેય પૂર્ણ સંતોષ પામી શકતો નથી.
ગીતા જોકે ઈચ્છાઓને સંપૂર્ણપણે ખતમ કરી દેવાની વાત નથી કરતી પણ તેને યોગ્ય દિશામાં વાળવાનું શીખવે છે. ભગવાન કહે છે કે આપણે આપણું ધ્યાન ક્ષણિક સુખો પરથી હટાવીને શાશ્વત અને દિવ્ય આનંદ તરફ લઈ જવું જોઈએ. જ્યારે મનુષ્યને ભીતરથી શાંતિ મળે છે ત્યારે બહારની વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ આપોઆપ ઓછું થઈ જાય છે. ગીતાના અધ્યાય 2 માં શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કામના અથવા ઈચ્છા જ જ્ઞાનની સૌથી મોટી દુશ્મન છે. જેમ ધૂળ અરીસાને ઢાંકી દે છે તેમ વાસનાઓ વિવેકબુદ્ધિને ઢાંકી દે છે અને માણસને ખોટા રસ્તે દોરી જાય છે.
આ વાત સમજાવવા માટે ગીતામાં સમુદ્રનું સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ ચોમાસામાં હજારો નદીઓ સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી અને શાંત રહે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષના મનમાં ઈચ્છાઓ આવે છે ખરી પણ તે તેનાથી વિચલિત થતો નથી. ગીતાનો નિષ્કામ કર્મનો સિદ્ધાંત પણ અહીં લાગુ પડે છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ ફળની આશા રાખ્યા વગર પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી બજાવવી જોઈએ. જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને કર્મ કરીએ છીએ ત્યારે સુખ કે દુઃખ અને હાર કે જીતના બંધનમાંથી મુક્ત થઈ જઈએ છીએ.
ગીતા મુજબ ઈચ્છાઓને બળજબરીથી દબાવવાને બદલે તેને શુદ્ધ કરવી જોઈએ. ભૌતિક સુખોની લાલસાને ઈશ્વર પ્રેમ અને સેવામાં પરિવર્તિત કરવી એ જ સાચો માર્ગ છે. ઈચ્છાઓ ઈન્દ્રિયો અને વિચારો દ્વારા મનમાં પ્રવેશે છે. તેથી જ્યારે વ્યક્તિ ઈન્દ્રિયો અને મન પર સંયમ કેળવે છે ત્યારે ખોટી ઈચ્છાઓ નબળી પડવા લાગે છે. સાચું સુખ બહારની વસ્તુઓમાં નહીં પણ આંતરિક શાંતિમાં રહેલું છે. પરિવાર અને કામની જવાબદારીઓ નિભાવતી વખતે પરિણામ પ્રત્યે અનાસક્ત રહેવું અને ભક્તિ તથા ધ્યાનના માધ્યમથી ઈશ્વર સાથે જોડાવું એ જ સુખી જીવનની ચાવી છે.





















