IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ T20 વર્લ્ડ કપ 2026ની મેચ આજે (15 ફેબ્રુઆરી) કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર છે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલાં જ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ એક વિચિત્ર અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાની ટીવી ચેનલ A-Sports પર ઇન્ટરવ્યુ દરમિયાન બાસિત અલીએ કહ્યું, "મેરી તો દુઆ હૈ અલ્લાહ તઆલા બારિશ કર દે" (મારી પ્રાર્થના છે કે અલ્લાહ તઆલા વરસાદ વરસાવે). જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પૂર્ણ મેચ જોવા માંગે છે, તો તેમણે સ્પષ્ટ કહ્યું, "હું વરસાદ ઇચ્છું છું." તેમના મતે વરસાદ પડે તો બંને ટીમોને પોઇન્ટ મળી જશે અને પાકિસ્તાનને હારનો સામનો ન કરવો પડે.
આ નિવેદનથી ક્રિકેટ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ભારત-પાકિસ્તાન મેચ વિશ્વની સૌથી રોમાંચક અને મોટી ક્રિકેટ મેચોમાંની એક ગણાય છે.
વરસાદની શક્યતા વધુ
હવામાન વિભાગના અહેવાલ મુજબ, કોલંબોમાં આજે વરસાદની સંભાવના ખૂબ જ વધારે છે. AccuWeather અને અન્ય અહેવાલો અનુસાર સવારથી બપોર સુધી 70-96% સુધી વરસાદની શક્યતા છે. શ્રીલંકાના હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા બની શકે છે, જેના કારણે સતત વરસાદ પડી શકે છે. જોકે સાંજે વરસાદ થોડો ઓછો થઈ શકે છે, પરંતુ વિક્ષેપની શક્યતા રહેશે.પ્રેમદાસા સ્ટેડિયમમાં વરસાદ પડે તો મેદાનને ઝડપથી કવર કરી શકાય છે અને વરસાદ બંધ થયા પછી 20 મિનિટમાં રમત ફરી શરૂ થઈ શકે છે. જો મેચ વોશઆઉટ થાય તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે (રિઝર્વ ડે નથી).
સૂર્યકુમાર યાદવનો મોટો સંકેત
મેચ પહેલાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ એક મહત્વનો સંકેત આપ્યો હતો. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હેન્ડશેક અંગે પૂછતાં તેમણે કહ્યું, "24 કલાક રાહ જુઓ, આટલું ધ્યાન કેમ આપવું? અમે ક્રિકેટ રમવા આવ્યા છીએ." ગયા વર્ષે એશિયા કપમાં પહેલગામ હુમલા પછી ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડશેક ટાળ્યો હતો.હવે બધાની નજર હવામાન અને મેચ પર છે – શું બાસિત અલીની "પ્રાર્થના" સાંભળાશે અને વરસાદ મેચ બગાડશે, કે ચાહકોને પૂર્ણ રોમાંચક મુકાબલો જોવા મળશે? રહો જોઈએ!




















