સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં નવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે. પૂનમની ધરપકડ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં તેમની તરફથી ઘેલાણી પરિવાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
બિલ્ડરને મરી જવા મજબૂર કરનાર પૂનમની જામીન અરજી
જામીન અરજી દરમિયાન પૂનમે દાવો કર્યો કે, તુષાર ઘેલાણી પોતાના પરિવારના વર્તનથી ખૂબ દુઃખી હતા. તેમના જણાવ્યા મુજબ પરિવારના સભ્યો તેમને માત્ર એક “ATM” મશીન તરીકે જ ઉપયોગ કરતા હતા. તેઓને માત્ર પૈસા કમાવવાના સાધન તરીકે જોવામાં આવતા હતા અને તેમની લાગણીઓ તથા માનસિક સ્થિતિની કોઈ કદર કરવામાં આવતી નહોતી. પૂનમે કોર્ટમાં કેટલાક વોટ્સએપ સ્ક્રીનશોટ પુરાવા તરીકે રજૂ કર્યા હતા. તેમાં એક ચોંકાવનારું મેસેજ પણ સામેલ હતું, જેમાં દીકરીએ લખ્યું હતું કે, “ચિંતા ના કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડશે તો કરી દઈશ, તમે હવે મજા લો અને ખુશ થાઓ.” પૂનમના વકીલનું કહેવું હતું કે પિતાની દરેક હરકત પર દીકરી નજર રાખતી હતી અને સતત દબાણ બનાવતી હતી.
'મારા પર 300 બાળકોની જવાબદારી, જેલમાં રહીશ તો ભવિષ્ય જોખમાશે'
પૂનમે જામીન માટે દલીલ કરી કે તેમના પર લગભગ 300 બાળકોની જવાબદારી છે અને જો તેઓ જેલમાં રહેશે તો આ બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડશે. તેમણે અદાલત સમક્ષ વિનંતી કરી કે તેમના વિના અનેક બાળકોના શિક્ષણ અને સંભાળ પર અસર પડશે. હાલ કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી પર નિર્ણય લેવાશે.




















