નવી દિલ્હી: IPL 2023માં BCCI એક નવો નિયમ લઈને આવી હતી, જે 'ઈમ્પેક્ટ પ્લેયર' (Impact Player) તરીકે ઓળખાય છે. આ નિયમ મુજબ, કોઈપણ ટીમ મેચની કોઈપણ પરિસ્થિતિમાં એક ખેલાડીને બહાર મોકલીને તેના સ્થાને અન્ય ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. શરૂઆતથી જ ક્રિકેટરો આ નિયમ અંગે બે ભાગમાં વહેંચાયેલા છે, કોઈ તેના પક્ષમાં છે, તો કોઈને તે બિલકુલ પસંદ નથી.
અક્ષર પટેલને પસંદ નથી ઈમ્પેક્ટ પ્લેયર રૂલ
IPL 2026ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને આ નિયમ વિશે પૂછવામાં આવ્યું હતું. અક્ષરને આ નિયમ ગમતો નથી. તેણે કહ્યું, "સાચું કહું તો મને આ નિયમ પસંદ નથી, કારણ કે હું એક ઓલરાઉન્ડર છું. પહેલા તમે બેટિંગ અને બોલિંગ બંને માટે એક ઓલરાઉન્ડરની પસંદગી કરતા હતા. આ નિયમને કારણે ટીમ મેનેજમેન્ટ હવે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન અને બોલરને પસંદ કરે છે, એમ વિચારીને કે હવે ઓલરાઉન્ડરની શું જરૂર છે?" અક્ષરે વધુમાં ઉમેર્યું હતું કે, "હું ઓલરાઉન્ડર છું એટલે મને આ નિયમ ગમતો નથી. પરંતુ નિયમ એ નિયમ છે અને અમારે તેનું પાલન કરવું જ પડે છે. જોકે, અંગત દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મને આ નિયમ પસંદ નથી."
વિરાટ અને રોહિત પણ કરી ચૂક્યા છે ટીકા
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ખુલ્લેઆમ ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ટીકા કરી ચૂક્યા છે. બંનેનું માનવું છે કે આનાથી રમતનું સંતુલન બગડી રહ્યું છે. વિરાટનું માનવું છે કે આ નિયમને કારણે બેટ્સમેનો નીડર થઈને રમી રહ્યા છે કારણ કે નંબર 8 સુધી બેટિંગ ઉપલબ્ધ હોય છે, જેના કારણે બોલરો માટે મુસીબત વધી ગઈ છે. રોહિતે કહ્યું હતું કે આ નિયમની અસરને કારણે વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને બોલિંગ કરવાની તક નથી મળી રહી, જે ભારતીય ક્રિકેટ માટે સારું નથી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ આ પ્રકારનો 'સુપર-સબ' નિયમ 2005માં આવ્યો હતો, પરંતુ 2006માં જ તેને હટાવી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ 'એક્સ ફેક્ટર પ્લેયર' નિયમ લાવવામાં આવ્યો હતો, જે સફળ ન થતા તેને પણ રદ કરવો પડ્યો હતો. જોકે, IPLમાં સતત ચોથી સીઝન સુધી ઈમ્પેક્ટ પ્લેયર રૂલ યથાવત રહેશે.





