Ahmedabad News: જિલ્લાના બાવળા તાલુકાના દુર્ગી ગામમાં દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી નળ સરોવર પોલીસની ટીમ પર ગ્રામજનોના ટોળાએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં એ.એસ.આઈ. સહિતના પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે 15 મુખ્ય આરોપીઓ સહિત 125 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો છે.
ઘટનાની વિગત
નળ સરોવર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન. જાની અને તેમની ટીમ ૨૭ માર્ચના રોજ બપોરે દુર્ગી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગામમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ઝુંપડી માતાના મંદિર પાસે રેઇડ કરી હતી. પોલીસને જોઈને બુટલેગર ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કર્યો હતો.
ઉશ્કેરાયેલા ટોળાનો પથ્થરમારો અને લાકડીઓથી હુમલો
પોલીસ જ્યારે આરોપીને પકડવા જઈ રહી હતી ત્યારે આત્મારામ કોદાભાઇ પઢાર અને રઇલીબેન પઢારે અન્ય ગ્રામજનોને ઉશ્કેર્યા હતા. જોતજોતામાં 100 થી 125 સ્ત્રી-પુરુષોનું ટોળું લાકડીઓ અને પથ્થરો સાથે ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસને ઘેરી લઈ બિભત્સ ગાળો આપી "જાનથી મારી નાખવા"ના ઈરાદે હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓ
રમેશભાઇ ગણેશભાઇ (ASI): માથાના પાછળના ભાગે લાકડીનો ફટકો વાગતા લોહીલુહાણ થયા હતા.
વેલાભાઇ વર્ધાજી (કોન્સ્ટેબલ): બરડાના ભાગે લાકડીઓના સપાટા વાગતા મૂઢ માર લાગ્યો.
મહેશભાઇ બોઘાભાઇ (કોન્સ્ટેબલ): શરીરે લાકડીઓ વડે ઈજાઓ પહોંચી.
મુખ્ય આરોપીઓની યાદી
પોલીસે આ કેસમાં નીચે મુજબના વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે:
આત્મારામભાઇ કોદાભાઇ પઢાર
રઇલીબેન આત્મારામભાઇ પઢાર
રંગાભાઇ નરશીભાઇ પઢાર
વિજયભાઇ શ્રવણભાઇ પઢાર
રમેશભાઇ ભગુભાઇ પઢાર
કિશનભાઇ શ્રવણભાઇ પઢાર
મહેશભાઇ જોરાભાઇ પઢાર
ઝિણાભાઇ જોરાભાઇ પઢાર
વિજયભાઇ ધીરૂભાઇ પઢાર
ધીરૂભાઇ જોરાભાઇ પઢાર
રાજેશભાઇ આમાભાઇ પઢાર
રામભાઇ ઇશાભાઇ પઢાર
ગણપતભાઇ શ્રવણભાઇ પઢાર
શ્રવણભાઇ ધરમશીભાઇ પઢાર
યુવરાજભાઇ પમાભાઇ પઢાર
પોલીસ કાર્યવાહી
નળ સરોવર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન. જાનીએ પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓને વિઝિટેશન માટે જાણ કરવામાં આવી છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






