આસામના દિમા હસાઓ જિલ્લામાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ત્રણ શંકાસ્પદ NSCN (નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ)ના આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ નાગાલેન્ડથી કથિત રીતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસેથી નાણાં પડાવવા માટે આસામ આવ્યા હતા.
એક ગુપ્ત માહિતીના આધારે આસામ રાઇફલ્સ અને રાજ્ય પોલીસના વિશેષ એકમે શનિવાર સાંજથી દિમા હસાઓના જંગલોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 60 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ મંગળવારે હાફલોંગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એન કુબિન અને હેરાકિલો વચ્ચેના વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે "આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ અમારી ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી જે લગભગ ત્રણ-ચાર કલાક સુધી ચાલી હતી."
ભારે ગોળીબાર અને હથિયારોનો જથ્થો મળી આવ્યો
એન્કાઉન્ટર દરમિયાન બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ દરમિયાન ત્રણ આતંકીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. સ્થળ પરથી બે એકે-47 રાઈફલ એક પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના અન્ય સહયોગીઓને શોધવા માટે વિસ્તારમાં હજુ પણ વ્યાપક સર્ચ ઓપરેશન ચાલુ છે.
NHAIને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો
આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે NSCNના એક જૂથે NHAIને પૈસાની માંગણી કરતો પત્ર મોકલ્યો હતો. NHAI દિમા હાસાઓ જિલ્લામાં સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ હેઠળ બાંધકામનું કામ કરી રહ્યું છે અને આતંકવાદીઓ આ પ્રોજેક્ટમાંથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ ઘટનાથી સ્થાનિકો ચિંતાતુર બન્યા હતા
વહીવટીતંત્રના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્થાનિકો એ હકીકતથી અત્યંત નાખુશ હતા કે NSCN આતંકવાદીઓ નાગાલેન્ડમાં મુખ્યત્વે સક્રિય છે ત્યારે નાણાં પડાવવા માટે આસામમાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે દિમા હસાઓ એક શાંતિપૂર્ણ જિલ્લો છે અને અહીં કોઈ પણ પ્રકારની અશાંતિ કે રક્તપાત ઇચ્છતું નથી.






