શતાવરીએ આયુર્વેદમાં વપરાતી એક મહત્વની ઔષધીય વનસ્પતિ છે, જે તેના અનેક આરોગ્ય લાભો માટે જાણીતી છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય, પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનો ઉપયોગ થાય છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં શતાવરીની ખેતી વધતી જાય છે.
શતાવરીની ખેતીની પદ્ધતિ
શતાવરીની ખેતી માટે રેતાળ બેસનવાળી અથવા ચીકણી જમીન યોગ્ય છે. શતાવરીની ખેતી બીજ અથવા મૂળ દ્વારા થાય છે. બીજને 24 કલાક પાણીમાં પલાળી નર્સરીમાં રોપવામાં આવે છે. જ્યારે રાઇઝોમ ઝડપી પરિણામ આપે છે. જમીનને 2-3 વખત ઊંડી ખેડી, હેક્ટરદીઠ 10-15 ટન સેન્દ્રિય ખાતર ઉમેરવું. ચોમાસાની શરૂઆતમાં 45-60 સેન્ટીમીટરના અંતરે રોપણી કરવી. બેથી ત્રણ વર્ષ બાદણ લણણી શરૂ થશે.
શતાવરીના ફાયદા
શતાવરીની ખેતી આર્થિક અને આરોગ્ય દૃષ્ટિએ લાભદાયી છે. તેની માંગ આયુર્વેદિક દવાઓ, હર્બલ ઉત્પાદનો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સતત વધી રહી છે. શતાવરી ખેડૂતોને સ્થિર આવક આપે છે. એકવાર રોપ્યા પછી 10-15 વર્ષ સુધી ઉપજ આપે છે. તે પર્યાવરણને અનુકૂળ છે કારણ કે તેને ઓછા રાસાયણિક ખાતરની જરૂર પડે છે.શતાવરી તણાવ ઘટાડે છે, પાચનતંત્રને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શતાવરીના મૂળનો પાઉડર, ગોળીઓ અને રસના રૂપમાં ઉપયોગ થાય છે. હર્બલ ચા અને સપ્લિમેન્ટ્સમાં પણ તેનો સમાવેશ થાય છે.
હેક્ટર દીઠ કેટલી આવક અને ખર્ચ?
શતાવરીની ખેતીનો પ્રારંભિક ખર્ચ હેક્ટર દીઠ 1થી દોઢ લાખ થઈ શકે છે. જેમાં બિયારણ, જમીનની ખેડ, સિંચાઈ અને મજૂરીનો સમાવેશ થાય છે. પ્રથમ વર્ષે નિયમિત નિંદણ અને સિંચાઈ માટે વધારાનો ખર્ચ થાય છે. બીજા વર્ષથી જાળવણી ખર્ચ ઘટે છે. બીજા વર્ષથી દર વર્ષે 50થી 70 હજારનો ખર્ચ થાય છે. શતાવરીની ખેતીથી એક હેક્ટરમાંથી 2થી 3 ટન સૂકા મૂળનું ઉત્પાદન થાય છે. બજારમાં સૂકા મૂળનો ભાવ 500થી 800 રૂપિયા પ્રતિકિલો હોય છે. જેથી એક હેક્ટરમાં 10થી 15 લાખ સુધીની આવક થઈ શકે છે. પ્રથમ વર્ષમાં ખર્ચ વધુ હોવાથી આવક ઓછી થાય છે. પરંતુ ત્રીજા વર્ષથી આવકમાં વધારો થાય છે.
આ ખેતીમાં શું કાળજી રાખવી?
શતાવરીની ખેતી ખેડૂતો માટે લાભદાયી અને ટકાઉ વિકલ્પ છે. ઓછા ખર્ચે વધુ આવક આપતો પાક છે. આયુર્વેદિક ઉદ્યોગની વધતી માંગ શતાવરીને આકર્ષક પાક બનાવે છે. યોગ્ય આયોજન અને જાળવણીથી ખેડૂતો યોગ્ય માર્ગદર્શનમાં ખેતી કરે તો શતાવરીની ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.





















