T20 World Cup : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 8 માર્ચે ક્રિકેટ અને મનોરંજનનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે ટકરાશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડથી લઈને ઇન્ટરનેશનલ સ્ટાર્સ પર્ફોર્મ કરશે.
સ્ટાર કલાકારોનું પર્ફોર્મન્સ
આ મેગા ઈવેન્ટમાં સંગીત જગતના દિગ્ગજો પોતાની કલાનો જાદુ વિખેરશે. બોલિવૂડના ફેવરિટ સિંગર અરિજીત સિંહ, ગુજરાતની શાન અને ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપ સ્ટાર રિકી માર્ટિન સ્ટેજ ગજવશે. અંદાજે 1.25 લાખથી વધુ દર્શકોની હાજરીમાં આ કલાકારો મેચ પહેલા પ્રેક્ષકોમાં ઉત્સાહ ભરશે.
ગરમી સામે રક્ષણ અને પાણીની વ્યવસ્થા
માર્ચ મહિનામાં અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોને તરસ ન લાગે અને હેરાનગતિ ન થાય તે માટે સ્ટેડિયમના પોડિયમ એરિયામાં વધારાના 30 વોટર કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેથી દરેક ખૂણે બેઠેલા દર્શકોને સરળતાથી પીવાનું પાણી મળી રહેશે.
મેડિકલ અને આરોગ્ય સુવિધા
ભીડ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે સ્ટેડિયમમાં ચુસ્ત મેડિકલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. પોડિયમ વિસ્તારમાં 6 મેડિકલ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો અને સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, સ્ટેડિયમ પરિસરમાં જ 2 ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. કોઈપણ ગંભીર પરિસ્થિતિ માટે 6 ICU એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે, જેમાંથી 2 પોડિયમ એરિયામાં હાજર રહેશે.
સુરક્ષા અને આયોજન
1.25 લાખથી વધુ લોકોની સુરક્ષા માટે વિવિધ સરકારી વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. ક્રાઉડ મેનેજમેન્ટથી લઈને ટ્રાફિક અને સુરક્ષા સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ફાઇનલ માત્ર એક મેચ નહીં પણ ભારતની યજમાની અને સંસ્કૃતિનું પ્રદર્શન કરનારો એક ભવ્ય ઉત્સવ બની રહેશે.



















