પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને મંજૂરી આપી અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થવાનું આયોજન છે.
પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1,067.35 કરોડ છે. આ વિસ્તૃત કોરિડોરથી 2029 માં અંદાજે 23,702 મુસાફરો અને 2041 માં અંદાજે 58,059 મુસાફરોને ફાયદો થવાની અપેક્ષા છે.
આ કોરિડોર અમદાવાદ અને ગિફ્ટ (GIFT) સિટી વચ્ચેની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. સૂચિત રૂટ પર સ્થિત મુખ્ય મલ્ટી નેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રોને સીધો ફાયદો થશે.
વધારામાં, આ વિસ્તરણ વ્યવસાય, રોજગાર અને શિક્ષણ સંબંધિત મુસાફરીની જરૂરિયાતોને પૂરી કરવા માટે અમદાવાદ અને ગિફ્ટ પ્રદેશ વચ્ચે મુસાફરી કરતા દૈનિક મુસાફરો માટે ફાયદાકારક રહેશે, જેનાથી નેટવર્ક એકીકરણ અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે.
આ પ્રોજેક્ટથી બાંધકામમાં અંદાજે 1,000 નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. બાંધકામ પછીના તબક્કામાં કામગીરી અને જાળવણી માટે અંદાજે 250 લોકોને રોજગારી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ઉપર જણાવેલ સંખ્યા જેટલી જ પ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી કરશે. વધુમાં, અન્ય પ્રવૃત્તિઓથી તેનાથી પણ વધુ લોકો માટે પરોક્ષ રોજગારી ઊભી થશે.
આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે 50:50 નું સંયુક્ત સાહસ છે.
આ પ્રોજેક્ટ માટે CM પટેલે PM અને કેબિનેટનો આભાર માન્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. આ લાઇન પર દૈનિક મુસાફરોની સંખ્યા અંદાજે 1,60,000 છે.




















