The Kerala Story 2: બોલિવૂડ દિગ્દર્શક અનુરાગ કશ્યપે વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આગામી ફિલ્મ 'The Kerala Story 2' પર તીવ્ર પ્રહાર કર્યો છે. કોચી એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ફિલ્મના વિવાદાસ્પદ બીફ ફીડિંગ સીનને લઈને કહ્યું કે, "આ ફિલ્મ સંપૂર્ણ બકવાસ છે. શુદ્ધ પ્રચાર છે. આ રીતે કોઈ બીફ કોણ ખવડાવે છે? આ રીતે તો કોઈ ખીચડી પણ ખવડાવતું નથી." તેમણે વધુમાં કહ્યું કે ફિલ્મનો હેતુ ફક્ત પૈસા કમાવવાનો અને લોકોને વિભાજિત કરવાનો છે, અને નિર્માતા એક લોભી વ્યક્તિ છે જે ફક્ત નફો કમાવવા માંગે છે.
ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે, જેમાં એક હિન્દુ મહિલાને મુસ્લિમ સાસરિયાં દ્વારા બળજબરીથી બીફ ખવડાવવાનું દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે, જેણે ખાસ કરીને કેરળમાં તીવ્ર વિરોધ જગાવ્યો છે. આ સીનને અવાસ્તવિક અને સંવેદનશીલતા વગરનો ગણાવીને અનુરાગે ફિલ્મને 'પ્રોપેગેન્ડા' તરીકે નિશાન બનાવી છે.
કેરળ હાઈકોર્ટમાં કેસ અને મુખ્યમંત્રીની નારાજગી
કેરળ હાઈકોર્ટે ફિલ્મના સર્ટિફિકેટને પડકારતી અરજી પર નિર્માતાઓ અને સેન્સર બોર્ડને નોટિસ જારી કરી છે. ફરિયાદીએ દાવો કર્યો છે કે ફિલ્મ કેરળને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ફિલ્મને 'નફરત ફેલાવનારી' અને 'સાંપ્રદાયિક કાવતરાની' ગણાવીને તેનો વિરોધ કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે કેરળ આવા પ્રયાસોને નકારી કાઢશે અને સત્ય હંમેશા જીતશે.
રિલીઝ તારીખ અને વાર્તા
'The Kerala Story 2'નું ટ્રેલર 18 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થયું હતું. કામાખ્યા નારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તેમાં ત્રણ હિન્દુ છોકરીઓની વાર્તા છે, જેમનું જીવન મુસ્લિમ છોકરાઓ સાથે પ્રેમમાં પડવાથી બદલાઈ જાય છે અને તેઓ ધાર્મિક પરિવર્તનના એજન્ડાને ઉજાગર કરે છે.આ ફિલ્મ પહેલેથી જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે, અને અનુરાગ કશ્યપની ટીકાએ તેને વધુ ચર્ચામાં મૂકી દીધી છે.




















