Anant Ambani 31st Birthday: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આગામી 10 એપ્રિલ 2026ના રોજ તેમનો 31મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. અનંત અંબાણી માટે જામનગર હંમેશાથી ખાસ રહ્યું છે, તેથી આ વખતે પણ તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી તેમના હોમટાઉન જામનગરમાં જ રાખવામાં આવી છે. 8 એપ્રિલની સાંજથી જ અંબાણી પરિવારના મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે, જેના કારણે જામનગર એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સની રોનક જોવા મળી રહી છે.
અંબાણી પરિવારમાં કોઈપણ પ્રસંગ હોય અને બોલિવૂડના માંધાતાઓ ન હોય તેવું ભાગ્યે જ બને છે. અનંત અંબાણીના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સ પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને જામનગર પહોંચી રહ્યા છે. જામનગરના 'વનતારા' ખાતે મહેમાનો માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને આખું શહેર જાણે આ ભવ્ય બર્થડે પાર્ટીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
બોલિવૂડના ખાન અને કપૂર ફેમિલીનો જામનગરમાં જલવો
કિંગ ખાન અને ભાઈજાનની એન્ટ્રી: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના બિઝી શૂટિંગ શેડ્યૂલમાંથી બ્રેક લઈને ખાસ અનંત અંબાણીની પાર્ટીમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા છે. તેમની સાથે જ બોલિવૂડના સુલતાન સલમાન ખાન પણ બ્લેક આઉટફિટમાં પોતાના સિગ્નેચર સ્વૈગ સાથે જોવા મળ્યા હતા. સલમાનની એન્ટ્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રણવીર સિંહ અને સ્ટાર કિડ્સ: પોતાની એનર્જી માટે જાણીતા રણવીર સિંહ પણ ધમાકેદાર અંદાજમાં જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા પણ આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અંબાણી પરિવાર સાથે વર્ષો જૂનો સંબંધ ધરાવતા ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ આ ભવ્ય ઉજવણીનો હિસ્સો બનવા વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા હતા.
યુવા સ્ટાર્સ અને ન્યૂલી વેડ્સ કપલની હાજરી
આ પાર્ટીમાં માત્ર વરિષ્ઠ કલાકારો જ નહીં, પણ બોલિવૂડની નવી પેઢી પણ ઉત્સાહિત જોવા મળી રહી છે. અનન્યા પાંડે અને શનાયા કપૂર જામનગર એરપોર્ટ પર સ્મિત સાથે કેમેરામાં કેદ થયા હતા. આ ઉપરાંત, હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલું કપલ સ્ટેબિન બેન અને નુપૂર સેનન પણ જામનગર પહોંચી ચૂક્યા છે, જેઓ આ પાર્ટીમાં સંગીતની મહેફિલમાં ચાર ચાંદ લગાવશે તેવું મનાઈ રહ્યું છે.
જામનગરમાં ફરી એકવાર 'પ્રી-વેડિંગ' જેવો માહોલ
થોડા સમય પહેલા જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ હતી. હવે અનંતના 31માં જન્મદિવસ પર ફરી એકવાર એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના રિલાયન્સ ટાઉનશિપ અને વનતારા પ્રોજેક્ટની આસપાસ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અને રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે.





