અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે વીજ વ્યવસ્થાને પણ ભારે અસર પહોંચાડી હતી. જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે વીજ થાંભલા ધરાશાયી થયા, વીજ લાઈનોને નુકસાન પહોંચ્યું અને અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના કુલ 88 ગામોમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીજ કંપનીએ એકસાથે 192 ટીમોને મેદાનમાં ઉતારી પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી હતી.
જોખમી પરિસ્થિતિમાં દિવસ-રાત કામે લાગ્યા વીજકર્મીઓ
સતત વરસાદ, કાદવ, પાણી ભરાયેલા વિસ્તારો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ વીજકર્મીઓએ પોતાની સુરક્ષાની સાથે કામગીરી ચાલુ રાખી હતી. અનેક સ્થળોએ પાણી વચ્ચે ઊભા રહીને વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના સતત માર્ગદર્શન હેઠળ ટીમોએ પ્રાથમિકતાના આધારે ગામોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા હતા.

370માંથી 368 ફીડર ફરી કાર્યરત
ભારે વરસાદના કારણે અનેક ફીડરોમાં ખામી સર્જાઈ હતી. વીજ કંપનીના કર્મચારીઓએ સતત કામગીરી કરીને 370માંથી 368 ફીડર સફળતાપૂર્વક ફરી કાર્યરત કર્યા છે.
આ ઉપરાંત વરસાદ અને પવનથી નુકસાન પામેલા 380થી વધુ વીજ થાંભલાઓનું સમારકામ અથવા પુનઃસ્થાપન પણ કરવામાં આવ્યું છે.

અમરેલી અને ગીર સોમનાથમાં ટ્રાન્સફોર્મર પણ પૂર્વવત
ભારે વરસાદની અસર માત્ર વીજ લાઈનો સુધી મર્યાદિત રહી નહોતી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે.
બાકીના વિસ્તારોમાં પણ કામગીરી ઝડપથી આગળ વધી રહી હોવાનું વીજ કંપનીએ જણાવ્યું છે.
80થી વધુ ગામોમાં ફરી ઝળહળ્યા દીવા
વીજ વિભાગના સતત પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં 80થી વધુ ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણ અથવા મોટા ભાગે પૂર્વવત કરવામાં આવ્યો છે.
જ્યાં હજુ કામગીરી ચાલુ છે ત્યાં પણ ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવા માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભાવનગરના થોરડી નજીક ભારે વરસાદમાં સર્જાઈ કરૂણ દુર્ઘટના : બે બાઈક સાથે ત્રણ વ્યક્તિ તણાયા; 18 કલાકની જહેમત બાદ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
વીજ કંપનીએ નાગરિકોને કરી અપીલ
વીજ વિભાગે લોકોને વરસાદ દરમિયાન તૂટેલા વીજ તાર, ઝૂકેલા થાંભલા અથવા વીજ સંબંધિત કોઈપણ જોખમી સ્થિતિ દેખાય તો તાત્કાલિક સ્થાનિક વીજ કચેરી અથવા હેલ્પલાઈનને જાણ કરવા અપીલ કરી છે.
તંત્રએ ખાતરી આપી છે કે બાકી રહેલા વિસ્તારોમાં પણ શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.





