Gandhinagar typhoid cases: ગાંધીનગર શહેરના સેક્ટર 24, 28 તેમજ આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજને કારણે દૂષિત પાણીના પુરવઠાથી ટાઇફોઇડના કેસો સામે આવ્યા છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા છે.
યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ સૂચના
અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સાથે સતત સંપર્કમાં રહીને વર્તમાન પરિસ્થિતિની વિગતવાર માહિતી મેળવી છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ સૂચના આપી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને શાહે અસરગ્રસ્ત દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે. તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે.
લીકેજનું તાત્કાલિક સમારકામ
રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે પાઇપલાઇન લીકેજનું તાત્કાલિક સમારકામ કરવું તેમજ આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ તમામ પગલાંથી પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવે તેવી અપેક્ષા છે.




















