ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ચૂકી છે જેનું આયોજન અમદાવાદમાં થવાનું છે. આ મોટા સમાચાર બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુ એક મોટો દાવો કર્યો છે. અમદાવાદમાં આયોજિત 'સાંસદ ખેલ મહોત્સવ'માં તેમણે જાહેરાત કરી હતી કે ભારત 2036 ઓલિમ્પિક્સની યજમાની પણ મેળવવાનું છે અને તે માટે અમદાવાદના લોકોએ અત્યારથી જ તૈયાર થઈ જવું જોઈએ.
'અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ'
નારણપુરામાં નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, "તમને સૌને હાલમાં જ કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે. પરંતુ અમદાવાદના લોકો તૈયાર થઈ જાઓ, કારણ કે આ શહેરમાં 2036 ઓલિમ્પિક્સ પણ આવવાની છે." શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા અમિત શાહે જણાવ્યું હતું કે અમારો હેતુ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માહોલ તૈયાર કરવાનો છે જે ઓલિમ્પિક્સ જેવી મેગા ઈવેન્ટને સપોર્ટ કરી શકે.
ભારત મેડલ લિસ્ટમાં ટોપ-5માં હશે
રમતગમત ક્ષેત્રે થઈ રહેલા વિકાસ અંગે વાત કરતા શાહે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "મને વિશ્વાસ છે કે જ્યારે ભારત ઓલિમ્પિક્સની યજમાની કરશે, ત્યારે ભારત મેડલ જીતનાર દેશોની યાદીમાં ટોપ-5માં સ્થાન મેળવશે." તેમણે બજેટના આંકડા રજૂ કરતા કહ્યું કે 2014માં રમતગમતનું બજેટ 800 કરોડ હતું, જે 11 વર્ષમાં વધીને 2025માં 4 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.
વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
અમદાવાદમાં રમતગમતના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે 800 કરોડના ખર્ચે તૈયાર થયેલું વીર સાવરકર કોમ્પ્લેક્સ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત તેમણે મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે કેન્દ્રબિંદુ બનશે.





















