Amit Chavda statement : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ડભોઇમાં સરકાર અને તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જન આક્રોશ લઈને ડભોઇ પહોંચ્યા ત્યારે લોકોને એક જ અવાજ સંભળાયો હતો અને તે હતો ભ્રષ્ટાચાર સામેનો. અમિત ચાવડાના જણાવ્યા મુજબ ડભોઇમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેમાં સ્થાનિક ધારાસભ્ય તથા ચીફ ઓફિસરના મેળાપણાથી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
'મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી'
તેમણે આક્ષેપ કર્યો કે, 'નગરપાલિકાના બજેટ તેમજ સરકારની ગ્રાન્ટમાંથી ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું, જેમાં આશરે 2 કરોડ 30 લાખ રૂપિયાની રકમ ખર્ચવામાં આવી હોવાનું બતાવવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક લોકોએ તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી છે.
'2 કરોડ 30 લાખ રૂપિયાનો સાચો ખર્ચ થયો નથી'
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે ગાર્ડનમાં લગાવવામાં આવેલા સાધનો કોઈ જાણીતી બ્રાન્ડના નથી. 22 ડિસેમ્બરના રોજ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 7 દિવસમાં જ સાધનો તૂટી ગયા અને વેલ્ડિંગ કરાવવાની ફરજ પડી રહી છે. હાલની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે 2 કરોડ 30 લાખ રૂપિયાનો સાચો ખર્ચ થયો નથી અને મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ ગયા છે. તેમણે આ પણ કહ્યું કે ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં આવતા નથી, કારણ કે તેઓ ભાજપના ધારાસભ્ય અને નેતાઓને વ્હાલા છે. આ સમગ્ર મામલે અમિત ચાવડાએ પારદર્શક તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.





















