આ વર્ષની અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રતિકૂળ હવામાન અને બરફવર્ષા વચ્ચે પણ અત્યાર સુધીમાં લાખો લોકોએ આ પવિત્ર યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. વહીવટીતંત્ર દ્વારા પણ યાત્રીકોની સુરક્ષા અને સુવિધા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.
3 જુલાઈથી શરૂ થશે 57 દિવસની પવિત્ર યાત્રા
આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. આ 57 દિવસની યાત્રા બાલટાલ-સોનમર્ગ અને પરંપરાગત નુનવાન-પહેલગામ એમ બંને માર્ગો પરથી એકસાથે શરૂ થશે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂરી થશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રા માટેના રજીસ્ટ્રેશન ગત 15 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યા હતા.
3.6 લાખથી વધુ રજીસ્ટ્રેશન, ગ્રુપ બુકિંગ બંધ
અત્યાર સુધીમાં 3.6 લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા માટે સફળતાપૂર્વક નોંધણી કરાવી ચૂક્યા છે. જોકે, 5 થી 30 લોકોના મોટા ગ્રુપ માટેના રજીસ્ટ્રેશન બુધવારે બંધ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર એકલા અથવા નાના ગ્રુપમાં આવતા શ્રદ્ધાળુઓ માટે જ સ્લોટ ખાલી હશે ત્યાં સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. આ રજીસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંકની શાખાઓ દ્વારા થઈ રહ્યું છે. અધિકારીઓના મતે આ વર્ષે કુલ આંકડો 5 લાખને પાર થઈ શકે છે. વર્ષ 2024 માં 5.10 લાખથી વધુ અને 2025 માં 4.14 લાખ લોકોએ દર્શન કર્યા હતા.
માર્ગો પર 12 ફૂટ બરફ, BRO ની કામગીરી ચાલુ
હાલમાં અમરનાથ યાત્રાના રૂટ પર સામાન્ય જગ્યાએ 6 થી 8 ફૂટ અને હિમપ્રપાત (Avalanche) વાળા વિસ્તારોમાં 10 થી 12 ફૂટ જેટલો ભારે બરફ જામ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા બાલટાલ માર્ગ પર 9 કિમી અને પહેલગામ માર્ગ પર 8 કિમી સુધીનો ટ્રેક બરફ હટાવીને સાફ કરી દેવાયો છે. ટ્રેકને 12 ફૂટ પહોળો કરવાનું અને રીટેઈનિંગ વોલ બનાવવાનું કામ ચાલુ છે, જે 15 જૂન સુધીમાં પૂર્ણ કરી લેવાશે.
ટેન્ટને બદલે પ્રી-ફેબ્રિકેટેડ આધુનિક આવાસ અને કડક સુરક્ષા
શ્રદ્ધાળુઓની સુવિધા માટે આ વખતે પરંપરાગત ટેન્ટના સ્થાને આધુનિક પ્રી-ફેબ્રિકેટેડ અને ફાઇબર સ્ટ્રક્ચર વાળા આવાસ તૈયાર કરવામાં આવ્યા છે, જે ઠંડી અને વરસાદ સામે રક્ષણ આપશે. આ ઈમારતોમાં અટેચ્ડ વોશરૂમ, ગરમ-ઠંડા પાણી અને પેન્ટ્રી જેવી સુવિધાઓ મળશે. સુરક્ષાના ભાગરૂપે, વાદળ ફાટવાની કે પૂરની સંભાવના વાળા તમામ સંવેદનશીલ વિસ્તારોને 'નો-એન્ટ્રી ઝોન' જાહેર કરાયા છે અને ત્યાં કોઈ પણ કેમ્પ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.





