ગાંધીનગરમાં એક કરૂણ અને દુઃખદ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગાંધીનગરના સેક્ટર-7 વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ કર્મીએ કર્યો આપઘાત
ઉપેન્દ્રસિંહ વાઘેલા સેક્ટર-7 પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા. આજે સવારે પેથાપુર ખાતે આવેલા તેમના પોતાના ઘરમાં ઉપરના માળે પંખે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો હતો, જેના કારણે પરિવારજનો અને આસપાસના વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ પેથાપુર પોલીસ તાત્કાલિક તેમના ઘરે પહોંચી હતી અને સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ પોલીસ હેડ કોન્સ્ટેબલે આપઘાત કરવાનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને કારણે પોલીસ વિભાગમાં પણ ભારે ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.




















