સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન પોતાના ઘરે પહોંચ્યો અને બધાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, હું કાયદાનું સન્માન કરું છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુ:ખદ હતો. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. ગઈ કાલે સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સંધ્યા થિયેટરમાં થયેલ દોડાભાગમાં થયેલ એક મહિલા મોતના મામલાની સુનાવણી કરતા નીચલી કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પછી તેના વકીલોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને અહીંથી અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા. જો કે, તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો કે, મોડી રાત સુધી જામીનના હુકમની નકલ સત્તાવાળાઓને ન મળતાં તેમણે શુક્રવારની રાત જેલમાં જ વિતાવવી પડી હતી.
અલ્લુ અર્જુનની ગઈકાલે કરાઈ હતી ધરપકડ નોંધનીય છે કે, 4 ડિસેમ્બરે ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક 35 વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષનું બાળક ઘાયલ થયું હતું. પીડિત પરિવારે આ ઘટના માટે ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગઈ કાલે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ સુપરસ્ટાર આખી રાત જેલમાં રહ્યો અને વહેલી સવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.




















