બોલિવૂડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા તેની ફિલ્મો અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ ધરાવતી આલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, પરંતુ તાજેતરમાં તેણે એક એવો ખુલાસો કર્યો છે જેનાથી તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આલિયાએ કબૂલાત કરી છે કે, 2022માં માતા બન્યા પછી તેની વિચારવાની રીતમાં મોટો ફેરફાર આવ્યો છે અને હવે તેને સોશિયલ મીડિયા એક પ્રકારનું દબાણ લાગવા માંડ્યું છે. ઘણીવાર તેને આ ડિજિટલ દુનિયા છોડીને માત્ર પોતાના કામ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મન થાય છે.
માત્ર 'એક્ટિંગ' કરવા માંગે છે આલિયા, દેખાડો નહીં
'એસ્ક્વાયર ઈન્ડિયા' ને આપેલા એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે ફેમ અને સોશિયલ મીડિયાના દબાણ વિશે દિલ ખોલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, "ઘણીવાર હું સવારે ઉઠું છું અને વિચારું છું કે મારે બસ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દેવું જોઈએ. મને એવું થાય છે કે, હું માત્ર એક એવી એક્ટ્રેસ બનીને રહું જે ફક્ત એક્ટિંગ કરે. મારે સતત સોશિયલ મીડિયાની ચર્ચાઓનો ભાગ બનવું નથી." આલિયાના મતે, અભિનેત્રી તરીકે કામ કરવું અને સોશિયલ મીડિયા મેનેજ કરવું તે બે અલગ અને થકવી નાખતી વસ્તુઓ છે.
ચાહકોનો પ્રેમ આડે આવે છે
સોશિયલ મીડિયા ડિલીટ કરવાની ઈચ્છા હોવા છતાં આલિયા આમ કરી શકતી નથી, જેનું મુખ્ય કારણ તેના ફેન્સ છે. તેણે કહ્યું કે, "મને ખબર છે કે જો હું એકાઉન્ટ ડિલીટ કરીશ તો એવા અસંખ્ય લોકો સાથે મારો સંપર્ક તૂટી જશે જેમણે મને શરૂઆતથી સપોર્ટ કર્યો છે. હું તે લોકોનો પ્રેમ ગુમાવવા માંગતી નથી, તેથી હું ઈચ્છવા છતાં પણ સોશિયલ મીડિયા છોડી શકતી નથી."
દીકરી રાહાના જન્મ પછી બદલાઈ જિંદગી
આલિયાએ જણાવ્યું હતું કે, માતા બનવું એ એક સ્ત્રી માટે શારીરિક અને માનસિક રીતે મોટો ફેરફાર છે. તેણે હસતા હસતા કહ્યું કે, "હવે મારી પર્સનલ લાઈફ એટલી પ્રાઈવેટ થઈ ગઈ છે કે, મને શેર કરવામાં મુશ્કેલી થાય છે. મારા ફોનનું આખું આલ્બમ દીકરી રાહાના ફોટાઓથી ભરેલું છે. મારે મારી પોતાની તસવીર લેવા માટે પણ હવે મહેનત કરવી પડે છે." આલિયા અને રણબીર કપૂરે 2022માં લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2022માં રાહાનો જન્મ થયો હતો. 2023ના નાતાલના અવસરે આ કપલે પહેલીવાર રાહાનો ચહેરો દુનિયાને બતાવ્યો હતો.




















