મહારાષ્ટ્રના રાજકારણમાં ચાણક્ય તરીકે ઓળખાતા નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બારામતી એરપોર્ટ પર થયેલા પ્લેન ક્રેશમાં 66 વર્ષીય અજિત પવાર સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે. રાજકીય કુશળતાની સાથે તેમની વ્યક્તિગત અને ધાર્મિક શ્રદ્ધા વિશે પણ લોકોમાં ઊંડી રુચિ રહી છે.
વિઠ્ઠલ-રુક્મિણી પ્રત્યે પવાર પરિવારની અનન્ય ભક્તિ
અજિત પવાર મુખ્યત્વે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને હિન્દુ દેવી-દેવતાઓમાં ગાઢ શ્રદ્ધા ધરાવતા હતા. પવાર પરિવાર વર્ષોથી પંઢરપુરના ભગવાન વિઠ્ઠલ-રુક્મિણીના પરમ ભક્ત રહ્યો છે. અજિત પવારે અનેક પ્રસંગોએ પંઢરપુરના પ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. મહારાષ્ટ્રની વરકરી સંપ્રદાયની પરંપરાઓ પ્રત્યે તેમને વિશેષ આદર હતો.
ગણેશજી અને ભગવાન રામમાં અતૂટ વિશ્વાસ
અજિત પવાર જ્યારે પણ પુણે કે મુંબઈમાં રહેતા, ત્યારે તેઓ આધ્યાત્મિક શાંતિ માટે મંદિરોની મુલાકાત લેતા હતા. તેઓ પુણેના વિશ્વવિખ્યાત શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન, પૂજન અને અભિષેક માટે અવારનવાર જતા હતા. આ ઉપરાંત, તેમણે નાસિકના ઐતિહાસિક કાળારામ મંદિરમાં પણ પ્રભુ શ્રીરામની પૂજા-અર્ચના કરી હતી.
ધર્મનિરપેક્ષ છબી અને કર્મનિષ્ઠા
એક બાજુ પોતાની હિન્દુ આસ્થાઓને જાળવવાની સાથે, અજિત પવાર પોતાની સેક્યુલર છબી માટે પણ જાણીતા હતા. તેઓ તમામ ધર્મોનું સન્માન કરતા હતા અને કામ પ્રત્યેના સમર્પણને જ સૌથી મોટી પૂજા માનતા હતા. તેમની રાજકીય સફર દરમિયાન તેમણે ક્યારેય ધર્મને કામના આડે આવવા દીધો નહોતો, જેના કારણે જ તેઓ મહારાષ્ટ્રના દરેક વર્ગમાં લોકપ્રિય હતા.





















