એર ઇન્ડિયાએ પાઇલટ્સની નિવૃત્તિ વય 58 વર્ષમાંથી વધારીને 65 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે નોન-ફ્લાઇંગ સ્ટાફ માટે નિવૃત્તિ વય 60 વર્ષ કરવામાં આવી છે. આ જાહેરાત શુક્રવારે એરલાઇનના ટાઉન હોલ મીટિંગમાં કરવામાં આવી, જોકે સત્તાવાર નિવેદન હજી જાહેર થયું નથી.
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયામાં લગભગ 24,000 કર્મચારીઓ છે, જેમાં 3,600 પાઇલટ્સ અને 9,500 કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. કેબિન ક્રૂ માટે નિવૃત્તિ વયમાં ફેરફાર થયો છે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા નથી.
આ નિર્ણય તાજેતરના અમદાવાદ વિમાન દુર્ઘટના પછી આવ્યો છે. આ દુર્ઘટનામાં ભૂતપૂર્વ ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 270 લોકોના મોત થયા હતા.
આ મુદ્દે દાખલ અરજીમાં એર ઇન્ડિયાની સલામતી અને જાળવણી પ્રક્રિયાનું સ્વતંત્ર ઓડિટ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટએ અરજી ફગાવી દીધી. કોર્ટે અરજદારને પૂછ્યું કે “ફક્ત એર ઇન્ડિયાને જ કેમ નિશાન બનાવી રહ્યા છો? અન્ય એરલાઇન્સની તપાસ કેમ નથી કરતા?”




















