Ahmedabad News: અમદાવાદના વ્યસ્ત ગણાતા સરખેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર જ્યાં લાંબા સમયથી પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી કોહવાયેલી થયેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. એલ.જે કોલેજ નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચર્ચા બંને ઉભા કર્યા છે.
છેલ્લાં 8 મહિનાથી અહીં બંધ હાલતમાં પડી હતી ગાડીઃ
સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજની પાછળ ગેરેજ પાસે ઉભી રહેલી મર્સિડીઝ કારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગાડી છેલ્લા લગભગ 8 મહિનાથી ત્યાં જ પાર્ક હાલતમાં પડી હતી. સ્થાનિક લોકો માટે આ ગાડી સામાન્ય બની ગઈ હતી, પરંતુ અંદર શું હતું તેની કોઈને જાણ નહોતી. હવે જ્યારે ગાડીમાંથી લાશ મળી, ત્યારે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગાડી ગેરેજ સાથે સંકળાયેલા વ્યક્તિની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
કોનો છે કોહવાયેલી હાલતમાં મળેલો મૃતદેહ?
પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ મર્સિડિઝ કારમાંથી મળેલો મૃતદેહ આશરે 40 વર્ષની ઉંમરના પુરુષનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાશ ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં મળી આવી છે, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, મૃત્યુ લગભગ બે દિવસ પહેલાં થયું હોઈ શકે છે. જોકે ગાડી લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી કેસ વધુ જટિલ બની ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.
તપાસમાં જોડાઈ FSL ટીમઃ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે: મૃત્યુ કુદરતી છે કે શંકાસ્પદ? ગાડીમાં કોઈ ઝેર કે અન્ય પુરાવા છે? મૃતક ગાડીમાં કેવી રીતે પહોંચ્યો? આ તમામ પાસાઓ પર તપાસ થઇ રહી છે.
ગેરેજ અને માલિકી અંગે તપાસ:
પોલીસ આસપાસના CCTV ફૂટેજ પણ ચેક કરી રહી છે જેથી છેલ્લા દિવસોમાં કોણ ગાડી પાસે આવ્યું હતું તેની માહિતી મળી શકે. પ્રાથમિક તપાસમાં ગાડી ગેરેજ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગાડીનો મૂળ માલિક કોણ છે? તે 8 મહિનાથી ત્યાં શા માટે ઊભી હતી? ગાડીનો ઉપયોગ છેલ્લે ક્યારે થયો હતો? આ તમામ મુદ્દાઓ પર પોલીસ હવે તપાસ આગળ ધપાવી રહી છે.
વિસ્તારના લોકોમાં ભય અને સવાલો:
આ ઘટના બાદ સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. એટલા લાંબા સમય સુધી ગાડીમાં કોઈ લાશ હોવા છતાં કોઈને ખબર કેમ ન પડી? શું આ હત્યા છે કે આત્મહત્યા? ગાડી ગેરેજ પાસે હોવા છતાં કોઈએ તપાસ કેમ ન કરી? સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ શહેરની સુરક્ષા અને સાવચેતી અંગે પણ મોટો પ્રશ્ન ઉભો કરે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં લાંબા સમય સુધી ઉભી રહેલી શંકાસ્પદ ગાડીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. સ્થાનિક લોકો અને સત્તાધિકારીઓ વચ્ચે સંકલન જરૂરી છે. CCTV અને સર્વેલન્સ સિસ્ટમની અસરકારકતા વધારવાની જરૂર છે. આવો બનાવ ભવિષ્યમાં અટકાવવા માટે વધુ સખત પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે.
મર્સિડિઝમાંથી મળેલી મૃતદેહ મુદ્દે પોલીસે શું કહ્યું?
સરખેજ પોલીસ સ્ટેશનના PI એલ.એલ. ચાવડાએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતુંકે, નજીકમાં એક વ્યક્તિનું ગેરેજ આવેલું છે અને ગેરેજમાં આ ગાડી છેલ્લા છ મહિનાથી પડી હતી. મૃતક કાર માલિક હોય એવું હાલ જણાતું નથી. મૃતક અંગેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, જે બાદ હત્યા છે કે અકસ્માતે ઘટના બની છે તે જાણવા મળશે.





