Winter In Gujarat: સામાન્ય રીતે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડિસેમ્બરમાં કાળજું કંપાવતી ઠંડી પડી રહી છે. પણ, આ વખતે લા-નીનોની અસરથી ડિસેમ્બર પૂરો થયો છતાં અમદાવાદમાંકાળજું કંપાવતી ઠંડી પડી નથી. હવે અલ-નીનોની અસર ઘટવાની સાથે લા-નીનાની અસરથી ઠંડા પવન ફૂંકાશે, જેથી જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં અમદાવાદમાં ઠંડીનો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાતોએ સંકેત આપ્યા છે કે 6 થી 13 જાન્યુઆરી દરમિયાન તાપમાન 10 ડિગ્રી સુધી ગગડતાં કાળજું કંપાવતી ઠંડી પડશે.
હવામાન નિષ્ણાતો અનુસાર, અમદાવાદ-ગુજરાતમાં તાપમાન સામાન્યથી નજીક રહેતાં ઠંડી પડી નથી કારણ કે અલ-નીનોની સ્થિતિને કારણે અત્યાર સુધી પશ્ચિમ દિશામાંથી ભેજવાળા પવન ફૂંકાતા, ગુજરાત તરફ આવતાં હિમવર્ષાની ઠંડી વધારતા પવન રોકાઈ ગયા છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લા-નીનોની અસર શરૂ થતાં 1 લી જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ આવશે. લા-નીનોને લીધે ઉત્તર ભારતમાં વિકસતી મજબૂત હાઈ-પ્રેશર સિસ્ટમને લીધે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશાથી શુષ્ક અને ઠંડા પવન ગુજરાત તરફ ફૂંકાશે. પવનની ગતિ ઘટશે અને ભેજ ઘટવાથી રાતનું લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટવાથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.
હજુ બે દિવસ રાત્રિનું તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 ડિસેમ્બરે વાતાવરણ ધૂંધળું બનવાની શક્યતા છે.
અલ-નીનો શું છે?
મધ્ય-પૂર્વ પેસિફિક મહાસાગરમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થવાથી અલ-નીનો સર્જાય છે. જેના કારણે વધુ ગરમી લાગે. ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ-મોન્સૂન નબળું પડે, ખેતીમાં પાક નિષ્ફળ જવાની શક્યતા રહે છે.
લા-નીના શું છે ?
લા-નીનાની અસરથી પેસિફિક મહાસાગરમાં પાણી સામાન્ય કરતાં વધુ ઠંડું થવાથી ભારત તરફ ઠંડા પવનનું જોર વધે છે. તથા ભારતમાં વધુપૂર અને ભારે વરસાદ, ખેતી માટે અનુકૂળ સ્થિતિ અને કેટલાંક વિસ્તારમાં વધુ ઠંડી પડે છે.
ડિસેમ્બરમાં ઓછી ઠંડી છતાં શિયાળો લાંબો ખેંચાશે
આ વર્ષે ઉત્તર, પશ્ચિમ ભારત તથા પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શિયાળો લાંબો રહેશે. તથા ફેબ્રુઆરીના અંત અથવા એથી વધુ સમય સુધી અસર વર્તાશે. ભારતીય હવામાન વિભાગે અગાઉ જણાવ્યું કે કૉલ્ડવેવના દિવસો વધારે રહેશે. મેદાની વિસ્તારમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કે તેથી ઓછું અને પર્વતીય વિસ્તારોમાં શૂન્ય ડિગ્રી કે તેથી ઓછું હોય ત્યારે કૉલ્ડ વેવ મનાય છે. જાન્યુઆરીમાં આ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની શક્યતા છે. લા-નીનાની સાથે તેનું એક કારણ પોલર વોર્તેક્સ પણ છે. પૃથ્વીના ધ્રુવીય વિસ્તારમાં લૉ-પ્રેશરના કારણે અત્યંત ઠંડા પવનોના મોજાને પૉલર વોર્તેક્સ કહેવાય છે. તેની અસરથી હિમાલય ભારતને બચાવે છે પણ નિષ્ણાતોના મતે તેની થોડી અસર દેશના વાતાવરણમાં જોવા મળશે.




















