અમદાવાદ શહેરમાં બનેલી બહેરામપુરા હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ચોંકાવનારો ભેદ ઉકેલી નાખ્યો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR નંબર 111/2026 હેઠળ 19 વર્ષીય હિમલેશ દિનેશભાઈ પરમારની હત્યાનો કેસ નોંધાયો હતો.
આ ઘટના બહેરામપુરા વિસ્તારના હીરાલક્ષ્મી ફ્લેટ સામે બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હતી. ભોગ બનનાર દ્વારા આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા અને મોટેથી વાતચીત ન કરવા વારંવાર ચેતવણી અપાતા આરોપીઓ ખાર રાખી બેઠા હતા.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી 17 વર્ષીય સગીર છે, જ્યારે ગૌતમ ઉર્ફે “ઇન્ડો” રામુભાઈ સોલંકી (19) તેની મદદમાં સામેલ હતો. મુખ્ય આરોપીએ હત્યા કરવા માટે ખાસ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં જઈ ડિઝાઈનર છરો ખરીદ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચે ઉચ્ચ સ્તરીય હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી શરૂ કરી. આરોપીઓ ભાગી ન જાય તે પહેલાં જ તેમને ઝડપી પાડવામાં આવ્યા.
હાલમાં બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ગુનામાં વપરાયેલ હથિયારની રિકવરી સહિત વધુ તપાસ ચાલુ છે.




















