Bomb Threat: ગુજરાતમાં આજે 18 માર્ચના રોજ સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી બે મોટી ઘટનાઓ સામે આવી છે. સવારે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને પણ ધમકીભર્યો ઈ-મેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ખાસ કરીને આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો છેલ્લો દિવસ છે, ત્યારે જ શાળાઓને નિશાન બનાવીને મોકલવામાં આવેલા આ મેઈલને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ અજ્ઞાત તત્વો દ્વારા મોકલવામાં આવી રહેલા આ ઈ-મેલને કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર છે. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલને ખાલી કરાવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની શાળાઓમાં બોમ્બ હોવાના સમાચાર મળતા પોલીસ કમિશનર સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. સાયબર ક્રાઈમની ટીમ હાલ આ મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે.
અમદાવાદની આ શાળાઓને મળી ધમકી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અનેક જાણીતી શાળાઓને નિશાન બનાવવામાં આવી છે. જેમાં મેમનગરની મહારાજા અગ્રેસન સ્કૂલ, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ અને શાંતિ એશિયાટિક સ્કૂલનો સમાવેશ થાય છે. આજે બોર્ડની પરીક્ષાનો છેલ્લો દિવસ હોવાથી શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે જ આ સમાચાર આવતા અફરાતફરી મચી હતી. પોલીસે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
બોર્ડની પરીક્ષાર્થીઓમાં ચિંતાનો માહોલ
રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને આજે તેનો અંતિમ દિવસ છે. વિદ્યાર્થીઓ જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે શાળાઓને મળેલી આ ધમકીએ વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે. જોકે, શિક્ષણ વિભાગ અને પોલીસે વાલીઓને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. શાળાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક મુલાકાતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
વિધાનસભામાં 1 કલાક મોડી શરૂ થઈ કામગીરી
બીજી તરફ આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભાના સત્તાવાર ઈ-મેલ પર ધમકી મળતા પ્રોટોકોલ મુજબ તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તાત્કાલિક પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા. એસપી રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, ત્રણ બીડીડીએસ ટીમોએ સમગ્ર સંકુલને ફંદી માર્યું હતું. તપાસમાં કાંઈ ન મળતા અંતે 9 વાગ્યાને બદલે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 25 માર્ચના રોજ રાજ્ય સરકાર ગૃહમાં ઐતિહાસિક UCC વિધેયક રજૂ કરવાની છે, તે પહેલા મળેલી આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.




















