Surendranagar ACB Action : સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ.ડી.ના દરોડા બાદ હવે એસીબીમાં નોંધાયેલી ફરિયાદને લઈને હલચલ મચી ગઈ છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર, નાયબ મામલતદાર સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે એસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ સર્જાયો છે.
એસીબી કચેરીના દરવાજા બંધ રાખી સમગ્ર કૌભાંડ અંગે તપાસ
ફરિયાદ નોંધાયા બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એસીબી કચેરીના દરવાજા બંધ રાખી સમગ્ર કૌભાંડ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફાઈલો અને પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કેસના દરેક પાસાને બારીકાઈથી ચકાસી શકાય.
આગામી સમયમાં મોટા ખુલાસા થવાના એંધાણ
ઉચ્ચ સ્તરની તપાસને કારણે એસીબી કચેરીમાં લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ અને કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન વધુ નામો સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એસીબી કચેરી ખાતે ચાલી રહેલા તપાસના ધમધમાટને લઈને આગામી સમયમાં મોટા ખુલાસા થવાના એંધાણ મળી રહ્યા છે. સાથે જ આ કેસમાં નવા અને જૂના ઘણા ચહેરાઓ સામે કાર્યવાહી થઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સમગ્ર મામલે હવે એસીબીની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકી છે.




















