પશ્ચિમ બંગાળની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર સોનારપુર વિસ્તારમાં થયેલા હુમલાએ રાજ્યના રાજકીય માહોલમાં ભારે ઉથલપાથલ મચાવી છે. ઘટનાને લઈને TMC અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. આ દરમિયાન અભિષેક બેનર્જીની મેડિકલ-લીગલ કેસ (MLC) રિપોર્ટ પણ સામે આવી છે, જેમાં તેમની ઇજાઓ અંગે મહત્વની વિગતો નોંધવામાં આવી છે.
?s=46&t=V3u9gSKx-pxvI2frNmWv5w
હોસ્પિટલની MLC રિપોર્ટમાં શું ખુલાસો થયો?
હુમલા બાદ અભિષેક બેનર્જીને કોલકાતાની જાણીતી BELLE VUE CLINIC હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાયા હતા. 30 તારીખે તૈયાર કરાયેલા મેડિકલ-લીગલ કેસ (MLC) દસ્તાવેજમાં દર્દી તરીકે અભિષેક બેનર્જીનું નામ અને તેમની ઉંમર 38 વર્ષ દર્શાવવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ તેમની સંપૂર્ણ તપાસ કરી હતી. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તેમના શરીર પર કોઈ ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા નથી. માત્ર કેટલીક સામાન્ય ખંજવાળ અને સપાટી પરની ઇજાઓ નોંધાઈ છે. ડોક્ટરોએ વધુમાં લખ્યું છે કે દર્દી સંપૂર્ણ રીતે હોશમાં હતા, સામાન્ય રીતે વાતચીત કરી રહ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર હતી.
તબીબી નિરીક્ષણ બાદ ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત નથી એવું માન્યું હતું. પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓ આપીને તેમની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી હતી.
આખી ઘટના કેવી રીતે બની?
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વીડિયો અને પક્ષના નિવેદનો અનુસાર, અભિષેક બેનર્જી સોનારપુર વિસ્તારમાં ચૂંટણી બાદ હિંસાથી પ્રભાવિત પરિવારોને મળવા માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન સ્થાનિક સ્તરે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
અભિષેક બેનર્જીના આગમન બાદ કેટલાક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબૂ બની ગઈ અને તેમના કાફલા પર પથ્થરો, ઈંટો અને અન્ય વસ્તુઓ ફેંકવામાં આવી હોવાનું TMCનો દાવો છે.
પક્ષના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અભિષેક બેનર્જીને ઇજા પહોંચી હતી. જોકે હવે સામે આવેલી મેડિકલ રિપોર્ટમાં કોઈ ગંભીર ઇજાની પુષ્ટિ થઈ નથી. આ કારણસર સમગ્ર ઘટનાને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
મમતા બેનર્જીનો BJP પર આક્ષેપ
આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલાને ભાજપ દ્વારા પ્રાયોજિત હુમલો ગણાવ્યો છે. મમતાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાના હેતુથી આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
TMC નેતૃત્વનું કહેવું છે કે હુમલો પૂર્વનિયોજિત હતો અને તેની પાછળ રાજકીય હેતુઓ કામ કરી રહ્યા હતા. પક્ષે હુમલાખોરોની ઓળખ અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
અભિષેક બેનર્જીનો કડક સંદેશ
ઘટના બાદ અભિષેક બેનર્જીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા આ મામલાને આગળ ધપાવવામાં આવશે અને જરૂર પડે તો કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે. અભિષેકે સંકેત આપ્યો કે હુમલા પાછળ જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે.




