બોલીવુડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અનેકવાર તેમના છૂટાછેડાની અફવાઓ ઉડી ચૂકી છે. અત્યાર સુધી આ મામલે બન્ને કલાકારોએ મૌન સેવ્યું હતું, પરંતુ હવે અભિષેક બચ્ચને આખરે આ અંગે મૌન તોડ્યું છે અને અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિષેક બચ્ચને સ્પષ્ટતા કરી છે કે તેમના અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર છે. તેમણે છૂટાછેડાની તમામ અટકળોને પાયાવિહોણી અને બકવાસ ગણાવી છે. અભિષેકે કહ્યું કે, "જ્યારે તમે સેલિબ્રિટી હોવ છો, ત્યારે લોકો દરેક બાબત પર અટકળો લગાવતા રહે છે. મારા અને ઐશ્વર્યા વિશે જે કંઈ પણ લખવામાં આવ્યું છે તે તદ્દન ખોટું અને તથ્યહીન છે. આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી, તે માત્ર કચરો છે."
અભિનેતાએ વધુમાં ઉમેર્યું કે આ કોઈ નવી વાત નથી. લગ્ન પહેલાં પણ લોકો આવી જ અટકળો લગાવતા હતા. તેમણે કહ્યું, "પહેલાં તેઓ અમારા લગ્નના સમયને લઈને અટકળો લગાવતા હતા અને હવે લગ્ન પછી તેઓ છૂટાછેડાની વાતો કરી રહ્યા છે. આ બધું બકવાસ છે. ઐશ્વર્યા મારી સચ્ચાઈ જાણે છે અને હું તેની સચ્ચાઈ જાણું છું. અમે એક ખુશહાલ અને સ્વસ્થ પરિવાર છીએ અને તે જ અમારા માટે સૌથી મહત્વનું છે."
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અભિષેક અને ઐશ્વર્યા અલગ અલગ ઈવેન્ટ્સમાં એકલા જોવા મળતા હોવાથી આવી અફવાઓને વેગ મળ્યો હતો. અનંત અંબાણીના લગ્નમાં પણ બંને અલગ અલગ જોવા મળ્યા હતા, જેના કારણે ચાહકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. જોકે, હવે અભિષેકના નિવેદન બાદ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.




















