AAP Isudan Gadhvi : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ભરતી મેળો શરૂ થયો છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ વિસ્તારના કેટલાક રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સામાજિક આગેવાનો AAPમાં જોડાયા હતા. ઈસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 1980થી ભાજપમાં કાર્યરત એવા વરિષ્ઠ નેતા વસંત પટેલ સહિત 100થી વધુ કાર્યકરો AAPમાં સામેલ થયા છે, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
વસંત પટેલ સહિત 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા: ઈસુદાન ગઢવી
આ સાથે પૂર્વ કોંગ્રેસ નેતા તથા બાપુનગરના અપક્ષ ઉમેદવાર રહી ચૂકેલા હર્ષદ નાંદોલીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં AAPને વધુ મજબૂત બનાવતા પાટીદાર સમાજના અગ્રણી નેતા નરેશભાઈ પટેલ પણ AAPમાં જોડાયા છે, જેના કારણે પાટીદાર સમુદાયમાં પાર્ટીનું સમર્થન વધવાની શક્યતા ઈસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
'હવે વિકલ્પ તરીકે AAP'
ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઔપચારિક રીતે AAPમાં સામેલ થયા હતા. આ જોડાણથી નરોડા, ઠક્કરબાપા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું ગઢવીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય લોકો અને કાર્યકર્તાઓ હવે વિકલ્પ તરીકે AAP તરફ જોઈ રહ્યા છે.
'કાર્યકર્તાઓ ભાજપમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે'
ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે 'ભાજપની તાનાશાહી, અહંકાર અને ભ્રષ્ટાચારના કારણે સાચા કાર્યકર્તાઓ ભાજપમાં ગુંગણામણ અનુભવી રહ્યા છે. આ જ કારણસર ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આવનારા સમયમાં ગુજરાતમાં AAP વધુ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે'.





















