ગુજરાતના વર્ષ 2026-27ના બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કટાક્ષ કર્યો છે. તેમણે બજેટને ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકો માટે નિરાશાજનક ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે ચુંટણીલક્ષી બજેટ રજૂ કર્યું છે.
'દર વર્ષે સરકાર જે બજેટ જાહેર કરે છે, તે સંપૂર્ણ રીતે વપરાતું જ નથી'
ચૈતર વસાવાએ જણાવ્યું કે, આદિજાતિ વિકાસ માટે ₹5425 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે, પરંતુ દર વર્ષે સરકાર જે બજેટ જાહેર કરે છે, તે સંપૂર્ણ રીતે વપરાતું જ નથી. શાળાઓમાં ઓરડાઓ અને શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરી કરાશે તેની કોઈ સ્પષ્ટ યોજના રજૂ કરવામાં આવી નથી. આરોગ્ય વિભાગ માટે ₹25403 કરોડ ફાળવાયા હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં શબ વાહિની, સીટી સ્કેન અને એક્સ-રે મશીનો જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે અને સ્ટાફની જોગવાઈ અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત નથી.
'ખેડૂતો સાથે ભાગીયાઓને વળતર આપવાની માંગ પણ અધૂરી રહી'
તેમણે વધુમાં કહ્યું કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવાની વાત થાય છે, પરંતુ નર્મદા જિલ્લાને પૂરતું પાણી મળતું નથી. નર્મદા, કડાણા, કરજણ અને ઉકાઈ પ્રોજેક્ટના વિસ્થાપિતોના પુનર્વસન અને વળતર અંગે પણ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પંજાબની જેમ 24 કલાક મફત વીજળી અને 300 યુનિટ મફત ઘરેલુ વીજળી આપવાની માંગ પણ સરકારે સ્વીકારી નથી. ગ્રામ્ય આવાસ યોજના હેઠળ શહેર જેવી ₹3.5 લાખની સહાય અંગે પણ કોઈ જાહેરાત નથી. શિક્ષિત બેરોજગાર માટે બેરોજગારી ભથ્થું અને ખેડૂતો સાથે ભાગીયાઓને વળતર આપવાની માંગ પણ અધૂરી રહી છે.
'બજેટમાં એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તેવી જોગવાઈઓ'
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે બજેટમાં એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તેવી જોગવાઈઓ છે, પરંતુ સામાન્ય લોકોને સીધો લાભ નથી. આદિવાસી વસ્તી પ્રમાણે ગ્રાન્ટ ફાળવાઈ નથી અને એસસી, એસટી, ઓબીસી સહિત 85 ટકા વસ્તી માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી.




















