આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, 'ખેડૂતોની 10 મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની મુલાકાત લેવા જશે.
'...તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે'
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'જો ભાજપ સરકાર ખેડૂતોની આ 10 માંગણીઓ પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં આંદોલન છેડશે'. તેમણે કહ્યું કે, 'ખેડૂતો મુદ્દે અમે જે દસ માંગણીઓ રજૂ કરી છે તે કઈ રીતે શક્ય છે, તેના સંપૂર્ણ આંકડા અને વિગતો આપવા માટે પણ અમે તૈયાર છીએ'. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, 'કડદા પ્રથા સહિતના અનેક મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નવ કિસાન મહાપંચાયતો યોજી છે. આ ઉપરાંત AAP દ્વારા 8,000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત યોજી ખેડૂતોની 10 માંગણીઓના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું છે.
'ખેડૂતોના 10 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું'
તેમણે જણાવ્યું કે, 'આ અભિયાનમાં 80,000થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને ખેડૂતોના 10 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતો દ્વારા મુખ્યત્વે કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલન દરમિયાન ખેડૂતો પર કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે, તેમજ પંજાબમાં AAP સરકાર દ્વારા આપવામાં આવે તે રીતે ગુજરાતના ખેડૂતોને પણ પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'આ તમામ માંગણીઓ ખેડૂતોના હિતમાં છે અને સરકારએ જો તેને ગંભીરતાથી નહીં લે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે.






