રાજ્યમાં ભૂતકાળમાં વિવાદો રહેલા અને તાજેતરમાં બુટલેગર વિરુદ્ધ લાઈવ રેડ કરીને ચર્ચામાં રહેતા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે. ત્યારે હવે તેમને આમ આદમી પાર્ટીમાં જોડવાવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના ડૉ. કરન બારોટ તેમને AAPમાં જોડવવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, ''અમે કેસરીસિંહ સોલંકીને AAPમાં જોડાવવાનું આમંત્રણ આપીએ છીએ અને આવો આપનો ખેસ પહેરી લો સાથે મળીને લડીશું''
''ખૂણે ખૂણે સ્કૂલો ખોલો, દારૂના અડ્ડા નહીં''
AAP નેતા ડૉ. કરન બારોટે કહ્યું કે, ''બે વર્ષમાં ગુજરાતમાં 191 કરોડનો વિદેશી અને 3 કરોડનો દેશી દારૂ પકડાયો, 3000 કરોડથી વધુનું ચરસ, ગાંજો, અફીણ પકડાયું છે, નિયમિત રીતે નશાની વસ્તુઓ પકડાઈ પરંતુ જે વસ્તુ નિયમિત રીતે ગુજરાતમાં વેચાઈ રહી છે અને વપરાઇ રહી છે તે ક્યારે બંધ થશે અને તે ક્યારે પકડવામાં આવશે?. ભાજપના નેતાઓને AAPની અપીલ, ગુજરાતના ખૂણે ખૂણે સ્કૂલો ખોલો, દારૂના અડ્ડા નહીં''.
માતરના MLAને ભાજપે સસ્પેન્ડ કર્યા કારણ...!
AAP ડો. કરન બારોટે કહ્યું કે, ''ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને ચરસ વેચાઈ રહ્યું છે, માતરના ધારાસભ્યને ભાજપે સસ્પેન્ડ કર્યા કારણ કે તેમણે દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની વાત કરી હતી. ભાજપ ઇચ્છતું નથી કે દારૂના અડ્ડાઓ બંધ થાય અને ગુજરાતના યુવાનોનું ભલું થાય, એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માંગે છે. ગુજરાતમાં નશાના કારોબારની પેરેલલ ઈલીગલ ઇકોનોમી ચાલી રહી છે. નશાના કારણે, નકલી વસ્તુઓના કારણે અને માફિયાના કારણે ગુજરાતને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે''





















