વિસાવદની પેટા ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટીવ થઈ ગઈ છે. ચૂંટણી જીત્યા બાદ આપ પાર્ટી રાજ્યના વિવિધ જીલ્લામાં રેલી,સભા અને સંગઠન મજબૂત કરી રહી છે. આ ઉપરાંત 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડાક દિવસોમાં ગુજરાતમાં બે થી ત્રણ વખત આવી ચૂક્યા છે. ત્યારે હવે આપ આદમી પાર્ટીના પ્રમુખ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે.
"ચૂંટણી લડવી હોય એને અમે તક આપશું"
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી 1 ઓગસ્ટથી આમ આદમી પાર્ટીનું પ્રદેશથી લઈને બુથ લેવલનો સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે. પહેલી ઓગસ્ટથી પ્રદેશના હોદ્દેદારો, લોકસભા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ લીડરો આગામી બે મહિના સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વોર્ડની મીટીંગો કરશે અને સમગ્ર ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ કરશે. સમગ્ર ગુજરાતમાં કુલ 2000 જેટલી સભાઓ કરવામાં આવશે. સાથે સાથે જે લોકોના પ્રશ્નો છે જેમ કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા તેવા મુદ્દા ઉઠાવશે. આ ઉપરાંત જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને પણ આ સભામાં ઉઠાવવામાં આવશે.
આમ આદમી પાર્ટી 2000 સભાઓનું આયોજન કરશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ એક આહવાન કર્યું હતું કે વધુમાં વધુ યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય કારણકે, ભાજપ અને કોંગ્રેસ યુવાઓને તક નહીં આપે, માટે અમે ઈચ્છીએ છીએ કે, જે લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માંગતા હોય તેવા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે.
આ બે મહિના સુધી ચાલનારા કાર્યક્રમમાં લાખો ગુજરાતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. જે લોકો ગુજરાત સરકારની ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી અને ધાકધમકીથી થાકી ગયા છે, એવા તમામ લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. હું યુવાનોને પણ અપીલ કરીશ કે બે-અઢી મહિના સુધી ચાલનારા અભિયાનમાં વધુમાં વધુ યુવાનો જોડાય.




















