Love Jihad: બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથે થયેલા ત્રીજા લગ્ન બાદ ઊભો થયેલો 'લવ જેહાદ' વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે આમિર ખાને પહેલીવાર ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાના લગ્ન અંગે લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તાજેતરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આમિર ખાને કહ્યું કે તેમના જીવનમાં ધર્મ ક્યારેય સંબંધો માટે માપદંડ રહ્યો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેમની ત્રણેય શાદીઓ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલી સિવિલ મેરેજ છે અને તેમની કોઈપણ પત્નીએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો નથી.
નિતેશ રાણેના નિવેદનથી શરૂ થયો વિવાદ
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે ટિપ્પણી કરતાં તેને 'લવ જેહાદ' સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે હિંદુ દર્શકોને આમિર ખાનની ફિલ્મો જોતા પહેલાં વિચાર કરવાની પણ અપીલ કરી હતી. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ અને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી. જોકે બાદમાં નિતેશ રાણેએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમનો ઉદ્દેશ કોઈ વ્યક્તિના અંગત જીવનમાં દખલ કરવાનો નહોતો. તેમણે દાવો કર્યો કે તેમણે માત્ર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણેએ એવો પણ દાવો કર્યો કે જો ગૌરી સ્પ્રેટે પોતાનો ધર્મ બદલ્યો ન હોય તો તેમની અગાઉની ટિપ્પણીનો તે સંદર્ભ લાગુ પડતો નથી.
આમિર ખાને આપ્યો વિગતવાર જવાબ
વિવાદ વધતા આમિર ખાને તમામ આરોપોનો સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગૌરી સ્પ્રેટ હિંદુ નહીં પરંતુ ખ્રિસ્તી છે અને તેમણે ઇસ્લામ સ્વીકાર્યો નથી. આમિરે જણાવ્યું કે તેમની પહેલી પત્ની રીના દત્તાએ પણ ક્યારેય ધર્મ પરિવર્તન કર્યું નહોતું અને બીજી પત્ની કિરણ રાવે પણ પોતાનો હિંદુ ધર્મ જાળવી રાખ્યો હતો. આમિરે કહ્યું કે તેમના પરિવારની પરંપરા હંમેશાં વિવિધ ધર્મો પ્રત્યે સન્માન રાખવાની રહી છે.
આ પણ વાંચો: ટીવીના સુપરહિટ શો 'Kumkum'ના 24 વર્ષ પૂર્ણ : જુહી પરમારે શેર કર્યો ભાવુક વીડિયો, ચાહકોનો માન્યો દિલથી આભાર
તેમણે યાદ અપાવ્યું કે તેમની બંને બહેનોએ હિંદુ પરિવારમાં લગ્ન કર્યા છે અને તેમનો પરિવાર હંમેશાં સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખે છે. તેમના મતે, કોઈપણ સંબંધ પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર સન્માન પર આધારિત હોવો જોઈએ, ધર્મ પર નહીં. તેમણે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, "સમય પસાર થતો જાય છે તેમ જીવન વધુ રમૂજી બનતું જાય છે." આમિરના આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો.
ફતવા અને ધાર્મિક વિરોધ વચ્ચે આમિરનું વલણ
ગૌરી સ્પ્રેટ સાથેના લગ્ન બાદ કેટલાક ધાર્મિક સંગઠનો તરફથી આમિર ખાન સામે વિરોધ પણ નોંધાયો હતો. કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ આંતરધર્મીય લગ્નને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે બીજી તરફ કેટલાક રાજકીય વર્તુળોમાં 'લવ જેહાદ'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આમિરે આ સમગ્ર વિવાદ અંગે શાંતિપૂર્ણ વલણ અપનાવતાં જણાવ્યું કે તેઓ આવા આરોપોને ગંભીરતાથી લેતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના તમામ લગ્ન કાયદેસર રીતે થયા છે અને તેમાં કોઈપણ પ્રકારનું ધર્મ પરિવર્તન સામેલ નથી.
અંગત જીવનને રાજકીય મુદ્દો બનાવવાની ચર્ચા
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે જાહેર જીવન સાથે જોડાયેલા લોકોના અંગત નિર્ણયો રાજકીય ચર્ચાનો વિષય બનવા જોઈએ કે નહીં. આમિર ખાનના લગ્નને લઈને થયેલી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર મતભેદ જોવા મળ્યા. કેટલાક લોકોએ નિતેશ રાણેના નિવેદનને સમર્થન આપ્યું તો ઘણા લોકોએ તેને વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ગણાવ્યો. બીજી તરફ, આમિરના સમર્થનમાં એવા અવાજો પણ ઉઠ્યા કે ભારતમાં દરેક પુખ્ત વ્યક્તિને પોતાની પસંદગીથી લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે અને વ્યક્તિગત સંબંધોને ધાર્મિક અથવા રાજકીય ચશ્માથી જોવું યોગ્ય નથી.
હાલમાં આમિર ખાને પોતાના નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેમની કોઈપણ પત્નીએ ધર્મ બદલ્યો નથી અને ગૌરી સ્પ્રેટ આજે પણ ખ્રિસ્તી છે. બીજી તરફ નિતેશ રાણેએ પણ પોતાના અગાઉના નિવેદન અંગે સ્પષ્ટતા આપતાં જણાવ્યું છે કે તેમના શબ્દોનો અર્થ અલગ રીતે લેવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર વિવાદ હજુ પણ રાજકીય અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.





