Shubman Gill : ટીમ ઈન્ડિયાએ હાલમાં જ T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જીતની ઉજવણી વચ્ચે એક સ્ટાર ખેલાડીના ભવિષ્ય પર જોખમ સંકટ જોવા મળી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટ્રેટર આકાશ ચોપરાએ શુભમન ગિલને લઈને એક એવી આગાહી કરી છે, જેને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આકાશ ચોપરાના મતે, ગિલ માટે હવે T20 ટીમમાં કમબેક કરવું લગભગ અશક્ય જેવું છે.
આકાશ ચોપરાનું વિશ્લેષણ
આકાશ ચોપરા પોતાની યુટ્યુબ ચેનલ પર અવારનવાર ક્રિકેટરોની કામગીરીનું વિશ્લેષણ કરતા હોય છે. તેમણે ગિલ વિશે વાત કરતા જણાવ્યું કે, એક સમયે ગિલને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવાના પ્રયાસો થતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. T20 ટીમ જે આક્રમક સ્ટાઇલથી રમી રહી છે અને સતત 250 રનનો સ્કોર બનાવી રહી છે, તેમાં ગિલ ફિટ બેસતો નથી. આકાશ ચોપરાને ડર છે કે, T20 માં ઝડપી રમવાના ચક્કરમાં ગિલ પોતાની નેચરલ રમત ગુમાવી ન દે.
ટીમમાં કોણે લીધી ગિલની જગ્યા?
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ખરાબ ફોર્મને કારણે શુભમન ગિલને ટીમની બહાર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. ઈશાન કિશને આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને હાલમાં તે ICC T20 રેન્કિંગમાં બીજા ક્રમનો બેટ્સમેન બની ગયો છે. કિશનની આક્રમક બેટિંગને કારણે ગિલ માટે ટીમમાં પાછા આવવાના રસ્તા બંધ થતા દેખાય છે.
શુભમન ગિલના T20 આંકડા
શુભમન ગિલના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો, તેને ભારત માટે 36 T20I મેચ રમી છે. જેમાં તેને 28.03 ની એવરેજથી અને 138.59 ના સ્ટ્રાઇક રેટથી 869 રન બનાવ્યા છે. જોકે આ આંકડા ખરાબ નથી, પરંતુ આજના T20 ક્રિકેટના માપદંડો મુજબ તેમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને હાઇ-વોલ્ટેજ મેચોમાં પાવરપ્લેનો યોગ્ય ઉપયોગ ન કરી શકવો તેને ભારે પડ્યો છે.
IPL 2026 પર આશાનો આખરી કિરણ
ગિલ માટે હવે IPL 2026 એ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં તે પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે. જો તે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરે અને ઊંચા સ્ટ્રાઇક રેટથી રન બનાવે, તો જ પસંદગીકારો ફરીથી તેના નામ પર વિચાર કરી શકે છે. આકાશ ચોપરાએ એમ પણ ઉમેર્યું કે, ગિલ વનડેમાં ચોક્કસપણે મહાન ખેલાડી બની શકે છે, અને ભારતે તેને વનડે ફોર્મેટ માટે સાચવી રાખવો જોઈએ.




















