વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા દૂધવાલો મહોલ્લામાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ન્યાય મંદિર નજીક સંતોષ નિવાસ લોજની ગલીમાં આવેલું વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થયું છે. ઘટના સવારે અંદાજે 8:30 વાગ્યાના અરસામાં બની હતી, જેના કારણે આસપાસના રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
મકાન ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરાયેલા કેટલાંક વાહનો દબાઈ ગયા હતા, જેના કારણે ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે મકાનની સામે આવેલી માસા અલ્લાહ બિલ્ડિંગને પણ આ ઘટનામાં નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. સદનસીબે મકાન અંદર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને બચાવ તથા સુરક્ષા કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ હટાવી આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. સાથે સાથે પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.




















