T20 World Cup : ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. ICC T20 વર્લ્ડ કપ 2026 માં ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ ટક્કર પહેલા આખી દુનિયામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માના વારસાને આગળ ધપાવતા, સૂર્યાએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને ફરી એકવાર વિશ્વ વિજેતા બનવાની ઉંબરે લાવી દીધું છે. અત્યાર સુધી માત્ર ગણ્યા-ગાંઠ્યા કેપ્ટનો જ ભારતને આ સ્તર સુધી લઈ જઈ શક્યા છે. જાણો એવા 5 કેપ્ટન વિશે જેમણે ભારતને વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડ્યું.
કપિલ દેવ - 1983 ODI વર્લ્ડ કપ
ભારતીય ક્રિકેટમાં જીતનો પાયો નાખનાર કેપ્ટન એટલે કપિલ દેવ. 1983 માં જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું, ત્યારે કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ભારત પ્રથમ વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. લોર્ડ્સના મેદાન પર શક્તિશાળી વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ભારતે પ્રથમ વર્લ્ડ ટાઇટલ
જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે સામે કપિલ દેવની 175 રનની નોટઆઉટ ઇનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં જીવંત છે.
સૌરવ ગાંગુલી - 2003 ODI વર્લ્ડ કપ
કપિલ દેવના 20 વર્ષ પછી, 'દાદા' એટલે કે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારત ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. 2003 માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ગાંગુલીએ પોતે ત્રણ સેન્ચુરી ફટકારીને ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જોકે, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગાંગુલીએ ટીમમાં જે આક્રમકતા લાવી તે કાબિલે તારીફ હતી.
એમ.એસ. ધોની - 2007 T20, 2011 ODI, 2014 T20
મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે. તે એકમાત્ર એવો કેપ્ટન છે જેને ટીમને ત્રણ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી છે. 2007 માં પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડીને ધોનીએ ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2011 માં ઘરઆંગણે ભારતને ODI વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. 2014 ના T20 વર્લ્ડ કપમાં પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ કમનસીબે શ્રીલંકા સામે પરાજય થયો હતો.
રોહિત શર્મા - 2023 ODI, 2024 T20
રોહિત શર્માએ ભારતીય ટીમને એક નવી 'નીડર' ઓળખ આપી છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારત સતત બે વર્ષમાં બે ફાઇનલ રમ્યું. 2023 ના ODI વર્લ્ડ કપમાં ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલ સુધીની સફર કરી હતી. ત્યારબાદ, 2024 ના T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને રોહિતે ભારતને ફરીથી વિશ્વ વિજેતા બનાવ્યું અને T20I ક્રિકેટને અલવિદા કહ્યું.
સૂર્યકુમાર યાદવ - 2026 T20 વર્લ્ડ કપ
આ લિસ્ટમાં લેટેસ્ટ નામ સૂર્યકુમાર યાદવનું છે. રોહિત શર્માની નિવૃત્તિ બાદ સૂર્યાને T20 ની કમાન સોંપવામાં આવી હતી. પોતાની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ સૂર્યાએ સાબિત કરી દીધું કે, તે એક ચતુર કેપ્ટન છે. સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારત હવે 2026 માં ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ રમવા તૈયાર છે. સૂર્યાનું નેતૃત્વ અને મેદાન પરના તેના નિર્ણયોએ આખી દુનિયાને પ્રભાવિત કર્યા છે.




















